________________
૪૦૯
છ પદનો પત્ર
જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!