________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૪
વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી, એમ
જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણાનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે.
૩. ઘણું કરીને સત્પરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે.
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સદ્દવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.