________________
માનવ-દેહના ગુણગાન શા માટે ?
માનવનો દેહ દેવોને પણ દુર્લભ ગણાયો છે. માનવ-દેહની મહાનતાના ગુણગાન તમામ ધર્મોના તમામ શાસ્ત્રકારોએ એકીઅવાજે ગાયા છે.
દેવોને મળેલા વૈક્રિય-દેહ કરતાંય માનવને મળેલા ઔદારિક-દેહને શા માટે મૂલ્યવાન ગણવામાં આવ્યો ? દેવોના દેહની વિશેષતાઓ અનેક પ્રકારની છે. દેવોના દેહ મળ-મૂત્રની ગંદકી વગરના હોય છે. દેખાવે દેદીપ્યમાન અને કાંતિમાન હોય છે. દેવોના દેહ અતિ સુન્દર અને અનેક રૂપ ધારણ કરવાની શક્તિવાળા હોય છે.
આની સામે માનવ-દેહની તુલના કરીએ તો તેને સાવ તુચ્છ ગણવો પડે. દેવોના દેહ કરતાં સુન્દરતામાં અને કાંતિમાં હજાર ગુણહીન માનવનો દેહ છે.
માનવનો દેહ મળ-મૂત્રની ગંદકીનો ગાડવો ! માનવનો દેહ અનેક જાતના રોગોનો ભંડાર ! માનવનો દેહ અસૌન્દર્ય અને કુરુપતાનો દરિયો ! માનવનો દેહ શક્તિમાં હીન ! અને કાંતિમાંય હીન !
આમ છતાં શાસ્ત્રકાર ભગવંતો આવા માનવ-દેહના આટલા બધા ગુણગાન શા માટે ગાય છે ?
આનો જવાબ જાણતા પહેલાં એક નાનકડું રૂપક વિચારીએ.. સહરાનું રણ પસાર કરવા ઉપયોગી કોણ ?
હાથી કેવો લાગે ? અર્થાત્ જ્યારે રોડ ઉપરથી પસાર થતો હોય ત્યારે તે કેવો લાગે ? મન ભરીને નીરખવાનું મન થાય તેવો લાગે.
હાથીને જોવા બાળકો દોડ્યાં દોડ્યાં આવે. મોટાં અને નાનાં, બાલ અને વૃદ્ધ સહુને હાથી જોવો ગમે, સૂંઢ વડે અનેક જાતના ખાદ્ય-પદાર્થોને ખાતો અને પાણી પીતો હાથી જોવો કોને ન ગમે ? બધાય ને ગમે...કોઈ રુપિયો-બે રૂપિયા આપે ત્યારે તે સૂંઢ વડે તે રુપિયાને પોતાના માલિકને આપતો હાથી જોવાનું સહુને ગમે.
પરંતુ જો કદાચ સહરાનું રણ પસાર કરવાનું હોય તો દેહથી સુન્દર આ હાથી કામ લાગે ખરો ? આનો જવાબ છે ના...