Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 51
________________ 13 ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું હાય રે ભરામણ ! તને ટીપણું જોતાં, ગ્રહ-નક્ષત્રો ગણતાં આ શું સૂઝયું કે હિંદુઓના બારમા ચંદ્ર સાથે તેં તારો મેળ બેસાર્યો ! રે અસુરગુરુ શુક્રાચાર્યના પોતરા ! તારી આંગળીના વેઢા પર, સુવર્ણ અને રૌણ સિક્કાઓની દાનદક્ષિણાની ગણતરી કરતાં તને આ સ્વાર્થની ગણતરી ક્યાંથી સૂઝી ! કે અકબર ને ઔરંગઝેબના ગ્રહયોગ નીરખતાં તારું મન ભમી ગયું, જેથી ઊગતા સૂરજને પૂજવા નીકળ્યો ! અરે ! ઇતિહાસના એક પલટાતા તવારીખી પાનાને તેં આમ એકાએક ક્યા લોભે પલટી નાખ્યું ? બે બાજુની ઢોલકી કયા કારણે તેં વગાડી ? આ તરફ તો તેં રાજા વિક્રમની ૧૭૩૭ની સાલના માથ કૃષ્ણા સપ્તમીનું શાહજાદા એ કબરને શહેનશાહ બનવાનું મુહૂત કાઢી આપ્યું. ને આ તરફ ઘોડા પર સવારી કરી એજ મેર તરફ પ્રયાણ કર્યું ! શા માટે ભલા ? ' ખો ભૂદેવ ! ખાસ્સી એકસો વીસ માઈલની ભૂમિ ઘોડા પર કાપતાં તને થાક પણ ન લાગ્યો ! તારી કમર પણ તૂટી ન ગઈ ! અજમેરમાં શહેનશાહ ઔરંગઝેબ બેઠો હતો. એકબર ને ઔરંગઝેબ હતા તો પિતા-પુત્ર પણ રાજકારણમાં કોણ પિતા ને કોણ પુત્ર ! છેલ્લા વખતથી સિંહાસન સ્વજનોની હત્યા માગતું થયું હતું. સત્તાના પ્રાથમિક સ્વાગતમાં શુળીના માંચડા રોપાતા હતા. આલમગીર બાદશાહે તેમાં આડો આંક વાળ્યો હતો. ચોરની દાઢીમાં તણખો, એ કહેવત પ્રમાણે એ પોતાનાં સગાંવહાલાંથી સદા સાશંક ને દૂર રહેતો. હેતપ્રીતના કટોરા એણે હૈયાથી અલગ કર્યા હતા. કોઈ તેને હૃદયના પ્રેમથી પૂજતું નહોતું. પૂજા માત્ર ભયની હતી. પુત્રોથી સાશંક પિતાની શંકા આજ ખરેખર સાચી પડતી હતી. શાહજાદા અકબરે પિતાનું પદ ફગાવ્યું હતું : હવે પુત્રના હાથમાં પિતા આવે તો એનું માથું ભાંગ્યા વિના રહે ખરો ! જૂનો ઇતિહાસ વળી તાજો થાય ! એક તરફ મારવાડના ખોડ ગામમાં શાહી સમારોહ ચાલી રહ્યો હતો. શાહજાદા એ કબરને સિંહાસન સુપરત થતું હતું. એમાંય જૂનો ઇતિહાસ તાજો થતો હતો. એક દહાડો ભૂતકાળમાં મોગલ સમ્રાટ અકબરશાહનો રાજ્યાભિષેક પણ પંજાબના એક ગામડા કલાનોરમાં આવી રીતે જ થયો હતો ને ! આજના દુર્ગાદાસ જેવા, એ દિવસે ખાનખાના બહેરામખાન હતા.* રાઠોડ ને સિસોદીના ભરત રાજાની ભૂમિ પર સર્વધર્મ સમન્વયમાં માનનાર ભારતના અભિનવ સમ્રાટને નિર્માણ કરી રહ્યા હતા. જેની કચેરીમાં અદલ ઇન્સાફનાં નગારાં ને જ્યાંના મેદાન પર ચાંદ-સૂરજના ભાઈચારાના ધ્વજ રોપાવાના હતા. આલમગીર જેવા ઝનૂની બાદશાહને વગર લડચે હરાવવાની આ રજપૂતી તરકીબ આજના ઇતિહાસમાં અપૂર્વ આકાર લઈ રહી હતી. હિંદુ-મુસ્લિમ આજ રાજ કારણના મેદાનમાં ભાઈભાઈ થઈને ભેટવાના હતા. નવીભારતના નવા શહેનશાહ એ કબરશાહે ઇનામ એ કરામ હોદા, ખિલત, પોશાકની ભારે નવાજેશો કરી મેવાડને નવાં પરગણાં આપ્યાં. જોધપુરને સ્વતંત્ર જાહેર કર્યું. શાહી હોદાઓ હિંદુ-મુસ્લિમોમાં લાયકાત પ્રમાણે વહેંચ્યા. જજિયા વેરો દૂર કર્યો. હિંદુ કે મુસ્લિમ કોઈ પણ વેપારી માટે સમાન જ કાતની જાહેરાત કરી. - સેનાપતિ તહવ્વરખાંને દીવાને આઝમ બનાવવામાં આવ્યા. સરદારો ને અમીરોને ખિતાબ આપવામાં આવ્યા. આતશબાજી ફૂટવા માંડી : ને જોધપુરજયપુરની સૌંદર્યવતી ગણિકાઓ થનક થનક નાચવા માંડી. સિસોદિયા, રાઠોડો ને ઇસ્લામીઓની ૭૦ હજારની વિશાળ સેનાનો સાગર કૂચ માટે હિલોળા દેવા લાગ્યો. આજ જાણે ભારતમાં હિંદુ ને મુસલમાન ભાઈભાઈ બની રજપૂત ને મોગલ જાણે કદી લડ્યા જ નથી ને કદી લડશે પણ નહિ, એવા સુખદુ:ખના સાથી બની ગયા. એકબીજાને ગળે લગાવવા માંડ્યા. હોળી દિવાળી-ઈદ મહોરમ જાણે સહુના સમાન તહેવાર બની ગયા. | સિત્તેર હજારની સેના અને એ સિત્તેર હજારની તાકાત જેના એ કલાના દિલોદિમાગમાં છે એ નરસિંહ રાઠોડ દુર્ગાદાસ, કૂચ કદમ માટે નવા બાદશાહના ફરમાનની રાહ જોવા લાગ્યા. આમ હિંદની ધરતીને આજે ભાઈચારાથી ખેડીને સમાન હકનાં વાવેતર કરવાની ઝુંબેશ ઉપાડવાની ઘડીઓ ગણાઈ રહી ! * જુઓ આજ લેખકનાં (૧) વિક્રમાદિત્ય હેમૂ (૨) ભાગ્યનિર્માણ (૩) દિલહીયર ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું [ 85

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98