Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 223
________________ 223 અસત ના નિમિત્ત ને ગ્રહણ કરીને મહા-મોહ-રૂપ “સંસાર ના ભ્રમ” નું ગ્રહણ કરે છે? વશિષ્ઠ કહે છે કે બાળક જેવી રીતે મિથ્યા ભૂતની કલ્પના કરે છે, તેવી રીતે અસત-ભૂત-સમુહે, “અહંકાર” નામના ક્ષય ની કલ્પના કરી છે. પણ જો સર્વ વસ્તુ એ એક પરમ તત્વ માં રહેલી હોય તો પછી, આ અહંકાર કેવી રીતે અને ક્યાંથી ઉત્પન્ન થયો? વાસ્તવિક રીતે અભેદ-રૂપ પરમાત્મામાં અહંકાર છે જ નહિ, તેમ છતાં, જેમ તીવ્ર તડકામાં મૃગજળ દેખાય છે તેમ તે “અહંકાર” –પરમાત્મામાં દેખાય છે. જેમ જળના આશ્રય થી જળ જોવામાં આવે તેમ આત્મા ના આશ્રય થી મન-રૂપી-ચિંતામણીમાંથી સંસારનો આરંભ જણાય છે. માટે હે, રામ,આશ્રય-રહિત અજ્ઞાનનો ત્યાગ કરી, સત્ય-આનંદ-રૂપ જ્ઞાન નો આશ્રય કરો. વિચાર કરવો એ “બુદ્ધિ" નો ધર્મ છે.માટે મોહ અને અસત્યનો ત્યાગ કરી સત્ય વસ્તુનો વિચાર કરો. બંધન નથી છતાં “બંધન છે” એમ કહી શા માટે વૃથા ખેદ ને પામો છે? આત્મા-તત્વ અનંત છે એટલે કોનું-કેવી રીતે બંધન થાય? મહાત્માઓને એક અને અનેક –એવી કલ્પનાઓ છે જ નહિ, પણ આ સર્વ એક બ્રહ્મ-તત્વ છે, માટે તેમને (જ્ઞાનીઓને) બંધન કે મોક્ષ એ ક્યાંથી હોઈ શકે? ભેદ કે અભેદ ના વિકાર-રૂપી દુઃખ એ આત્માને નથી.દેહનો નાશ થાય તેમાં આત્માને શી હાનિ પ્રાપ્ત થાય? જેમ, ધમણ બળી જાય તો પણ તે ધમણમાં રહેલા વાયુ નો નાશ થતો નથી,તથા પુષ્પ નો નાશ થાય પણ આકાશ નો આશ્રય કરીને રહેનાર સુગંધનો નાશ થતો નથી. તેમ,દેહ પડી જાય કે દેહનો ઉદય થાય-તેમાં આત્મા ને કોઈ હાનિ થતી નથી. કારણ તેનું રૂપ વિલક્ષણ છે. હે રામ,મન છે તે જ સકળ જગતનું શરીર છે.અને મન તે જ “આદિ-શક્તિ” છે. ચિદાત્મા (પરમાત્મા) તો મન થી પણ આદિ છેતેથી તેનો નાશ થતો નથીતેમજ તે ક્યાંય જતો પણ નથી, માટે તમે શા માટે વૃથા ખેદ ને પામો છો? જેમ,વાદળાં વિખરાઈ જાય ત્યારે વાયુ આકાશના અનંત-પદમાં પ્રયાણ કરે છે, અને કમળ સુકાઈ જાય ત્યારે ભ્રમર પણ આકાશમાં ઉડી જાય છે. તેમ, દેહનો ક્ષય થાય છે ત્યારે આત્મા પણ આકાશ નો આશ્રય કરે છે !! જયારે (જો),આ સંસારમાં વિહાર કરતા મન નો જ્ઞાન-રૂપી અગ્નિ વિના નાશ થતો નથી. ત્યારે (તો) ખુદ જ્ઞાન-રૂપ આત્માં ના નાશની વાત તો કેવી રીતે સંભવી શકે? જેવી રીતે “કુંડ-બોર-ન્યાય” કે “ઘટાકાશ” નો “ન્યાય” છે, તેવી રીતે દેહ અને આત્માની વિનાશ અને અવિનાશમાં સ્થિતિ છે. એટલે કે-જેમ,હાથમાં રાખેલું ફંડું ફૂટી જાય છે ત્યારે કુંડા માં ના બોર હાથ માં રહે છે, તેમ,દેહ નષ્ટ થાય છે ત્યારે આત્મા(વાસના વાળો જીવ) વાસના-રૂપી આકાશમાં રહે છે. વળી,જેમ ઘડો ફૂટી જાય છે, ત્યારે ઘટાકાશ એ મહાકાશ માં મળી જાય છે, તેમ, દેહનો ક્ષય થાય છે ત્યારે દેહી (આત્મા) નિરામય રહે છે. હે,મહાબાહુ,મૂઢ મનુષ્યો,મરણમાં શા માટે ભય રાખે છે? શરીર નો નાશ થાય થતો -તો-સર્વ જુએ છે પણ આત્મા નો નાશ થયો હોય તેવું કોઈએ જોયું નથી. માટે, જેમ,આકાશમાં ઉડનાર પંખી,પાંખ આવ્યા પછી ઇંડા નો ત્યાગ કરે છે, તેમ,તમે અહંકાર-રૂપી મિથ્યા વાસનાનો ત્યાગ કરો.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255