Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 237
________________ તે વીજળી ના જેવી,વાંકી તથા તેના પર મુગ્ધ થયેલા ને ત્રાસ આપનારી છે,અને જેમ વીજળી ને પકડી શકાય નહિ તેમ તે પકડી શકતી નથી, ક્ષણવારમાં ઉત્પન્ન થઈને તે લય પામી જાય છે,અને શોધવાથી પણ તે હાથમાં આવતી નથી. તેની પ્રાર્થના ના કરી હોવા છતાં પાસે આવેલી તે અવિદ્યા રમણીય લાગતી હોવા છતાં અનર્થ-રૂપ છે. ભ્રમ કરનારી તે અવિદ્યાનું અત્યંત વિસ્મરણ થવાથી તે અતિ સુખ-રૂપ લાગે છે (અને લલચાવે છે) પણ પાછો તેનો તર્ક થી વિચાર કરવાથી,ખરાબ સ્વપ્ન ની જેમ ભય પણ કરાવે છે. તે અવિદ્યા,એ મુહૂર્ત (ક્ષણ) માત્રમાં પોતાના પ્રતિભાસ-માત્ર થી ત્રણ જગતને ઉત્પન્ન કરીને ધારણ કરે છે અને તેનો લય પણ કરે છે. જેમ,સ્ત્રીના (કાન્તાના) સુખમાં આનંદ માનનાર મનુષ્યો ને તેનો (સ્ત્રીનો) વિયોગ થાય ત્યારે તેને એક રાત્રિ પણ એક વર્ષ ની થઇ પડે છે,તેમ,દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઇ પડે છે, એમ જ,આ,અવિધાને લીધે જેને ભ્રમ થાય છે, તેવા મનુષ્યો ને સુખ નો લાંબો કાળ પણ ક્ષણવારમાં ચાલ્યો જાય છે. પ્રકાશ થવાના “કાર્ય” માં જેમ "દીવા નું કર્તા-પણું" છે (દીવો કાર્ય કરે એટલે પ્રકાશ થાય છે-એટલે તે કર્તા છે) પણ વાસ્તવિક રીતે તે કર્તા-પણું નથી. તેમ,તે અવિદ્યા મનોરાજ્ય ની જેમ આકારવાળી છતાં અસત્ય અને કોઈ પણ કામમાં ઉપયોગી નથી. તે લાખો શાખા-વાળી હોવા છતાં પરમાર્થમાં ઉપયોગી નથી.અનેક પ્રકારના આડંબરવાળી તે (અવિદ્યા) મુગ્ધ (અજ્ઞાની) મનુષ્યો ને મોહ પમાડે છે.પણ જ્ઞાનીને મોહ પમાડી શકતી નથી. અવિદ્યા એ પાણીના બનેલા પરપોટા જેવી છે,એટલે કે થોડોક સમયમાં જ નાશ પામે છે.પણ તેનો પ્રવાહ નિત્ય છે.તે જડ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળ ની પેઠે હાથમાં આવતી નથી. આ અવિદ્યા એ દાહ (દાઝવું કે-દુઃખ કે ખેદ) ને પેદા કરે છે,જો કે પોતે અંદર રસ (પરમાત્મા)ને રાખે છે, અને જગતમાં ઘૂમી વળે છે.અને નિઃસાર એવા સંસારના સંસ્કાર થી દૃઢ થયેલી છે. તે વૃદ્ધિ પામતી હોય તેમ મનુષ્યો જુએ છે,પણ તે વૃદ્ધિ પામતી નથી પણ ફેલાયેલી છે. જેમ ઝેર નો લાડુ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે દુઃખ-દાયી છે, તેમ,અવિદ્યા પણ ઉપરથી મધુર જણાય છે પણ અંતે અનર્થ કરનારી છે. જેમ વાહનમાં બેઠેલા મનુષ્ય ને ઝાડનું ઠુંઠું પણ હાલતું દેખાય છે, તેમ મોહ થી અવિદ્યા ઉત્પન્ન થાય છે.ને સ્વપ્ન ની પેઠે ભ્રમ ને ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી આત્માના આવરણ-રૂપ અવિદ્યા અંતઃકરણ માં રહેલી છે ત્યાં સુધી,સ્વપ્ન ની પેઠે દીર્ઘ સંસારની કલ્પના થયા કરે છે.અને તેને લીધે વિચિત્ર વિભ્રમ થયા કરે છે. જેમ પારધી ની જાળ,પક્ષીને મોહ પમાડી બંધન કરે છે, તેમ અવિદ્યા અનેક પ્રકારના પદાર્થથી મનને મોહ પમાડી અને બંધન કરે છે. 237 હે,રામ,એવું કંઈ પણ નથી કે જે –ઉદ્ધત થયેલી અવિદ્યાથી બની શકે નહિ. પણ, તે અવિધા સત્તા વગરની હોવા છતાં તેની કેટલી શક્તિ છે તે તમે જુઓ. માટે જ,તમે વિવેક-બુદ્ધિ થી વિષય-બુદ્ધિ નો વિરોધ કરો,એટલે પ્રવાહ રોકવાથી નદી જેમ સુકાઈ જાય છે, તેમ,વિષય-રૂપી બુદ્ધિ નો રોધ કરવાથી,મન-રૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઇ જાય છે. રામ પૂછે છે-કે-અવિદ્યા વસ્તુત છે જ નહિ,તુચ્છ અને મિથ્યા-ભાવના કરનારી છે,અહો,છતાં જગતને તેણે

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255