Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 253
________________ ઉપર પ્રમાણે પરબ્રહ્મ માં ચિત્ત લીન થવાથી-તે કર્તવ્ય-કર્મ કરે છે તો પણ ક્રમ-પૂર્વક તેની ભાવના નો ત્યાગ કરે છે. તેથી તે “તુર્યગા” નામની સાતમી યોગ-ભૂમિકામાં આવે છે.અને તે “જીવનમુક્ત” કહેવાય છે. આવી જીવન-મુક્તની દશા પ્રાપ્ત થાય બાદ-તેને પ્રાપ્ત થયેલી વસ્તુથી આનંદ થતો નથી કેઅપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી.કેવળ-શંકા-માત્ર નો ત્યાગ કરીને – જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે. હે,રામચંદ્રજી.તમે પણ જે જાણવાની વસ્તુ છે તેને જાણી લીધી છે. તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે, માટે તમે શરીર થી બહાર (સમાધિમાં) રહો કે શરીરમાં (લોક-વ્યવહારમાં) રહોપણ હર્ષ-શોક પામો નહિ-કારણકે-તમારું નિર્મળ આત્મા નું સ્વ-રૂપ છે. હે,રામ, તમે આત્મા-રૂપ,સ્વયંપ્રકાશ,નિર્મળ,સર્વ સ્થળે રહેનારા અને સર્વદા ઉદય-વાળા છો, માટે સુખ-દુઃખ-જન્મ-મરણ તમને કેમ ઘટે? તમે બંધુ રહિત છો તે છતાં બંધુ ના દુઃખ માટે શોક શા માટે? અદ્વિતીય પણે રહ્યા પછી-આત્માને વળી બંધુ કોણ? દેશ-કાળ ને લીધે માત્ર દેહમાં પરમાણુ નો સમૂહ જોવામાં આવે છે.પણ,આત્મા ને ઉદય કે લય નથી. તમે અવિનાશી છો, છતાં,”હું નાશ પામું છું”એમ ધારીને ખેદ શા માટે? કારણકે-મૃત્યુ રહિત અને સ્વચ્છ સ્થાનક રૂપ આત્માનો વિનાશ છે જ નહિ. જેવી રીતે એક ઘડાનો નાશ થતાં ઘટાકાશ નો નાશ થતો નથી, તેવી રીતે,શરીરનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. જેવી રીતે મૃગજળ નો નાશ થવાથી તડકા નો નાશ થતો નથી, તેમ દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. હે,રામ,તમે અદ્વિતીય છો,માટે એવી કોઈ બીજી વસ્તુ નથી કે જેને માટે (તમારો) આત્મા ઈચ્છા કરે!! આ જગતમાં આત્મા વિના સાંભળવાનું,સ્પર્શ કરવાનું,જોવાનું,સ્વાદ લેવાનું તથા સુંઘવાનું કંઈ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે-તેવી જ રીતે,સર્વ “શક્તિ”ના ઉત્પત્તિ સ્થાન રૂપ,વ્યાપક અને રૂપ-રહિત,પરમાત્મામાં આ સર્વ જગતની “સર્વ શક્તિઓ” રહેલી છે. હે રામ ચિત્તમાંથી જ આ ત્રિલોકી-રૂપ લલના (વાસના) નો ઉદય થયો છે, તથા તે સત્વ-રજસ-તમસ ગુણના (ક્રમથી) ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મન ની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે, ત્યાર પછી “ક્રિયા-શક્તિ”ના નિવાસ-રૂપ “માયા” નો નાશ થાય છે. હે,રામ,સંસાર-રૂપી આ એક ઉગ્ર ઘટમાળ (યંત્ર) છે,તેમાં તે યંત્ર ને ચલાવવા માટે વાસના-રૂપી દોરી છે. તમે તે દોરીને પ્રયત્ન થી કાપી નાખો. એ વાસના જ્યાં સુધી જાણવામાં આવી નથી,ત્યાં સુધી મહા-મોહ આપનારી છે. અને તેને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ-સુખ આપનારી છે. કારણકે-તે વાસના પણ બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થઇ છે, 253

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255