Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 236
________________ (૧૧૩) તત્વ-બોધ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રાઘવ,બે ચંદ્ર નું ભ્રાંતિની પેઠે મિથ્યા ઉદય પામેલી,વાસના નો ત્યાગ કરવો ઘટે છે. એ અવિદ્યા-રૂપી વાસના ખોટી (મિથ્યા) છે છતાં અજ્ઞાની મનુષ્યમાં તે સાચી હોય તેમ રહેલી છે, એટલે સારા જ્ઞાની મનુષ્યમાં તેનો (વાસનાનો) સંભવ કેવી રીતે હોઈ શકે? માટે હે, રામચંદ્રજી,તમે અજ્ઞાની ના થાઓ,પણ સારા જ્ઞાની થાઓ અને સારી રીતે વિચાર કરો. જેમ,મોજાં ની પરંપરાથી વિસ્તાર-વાળા જળમાં,વસ્તુતઃ જળ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહિ, તેમ,પરમ-તત્વ સિવાય બીજી કોઈ વસ્તુ કે અવસ્તુ-કંઈ જ છે નહિ. ભાવ તથા અભાવ "સંકલ્પ-વિકલ્પ" થયા વિના થતા નથી,અને તે અસત્-મય છે.માટે શુદ્ધ આત્મામાં તેનો આરોપ કરો નહિ.તમે કર્તા નથી (પરમાત્મા કર્તા છે) તેમ છતાં ક્રિયામાં કેમ મમતા રાખો છો? એક (પરમાત્મા) જ સત્ય વસ્તુ છે માટે કોણ કઈ વસ્તુ ને કેવી રીતે કરે છે? આવી જ રીતે તમે "અકર્તા" ના "અભિમાની" થાઓ નહિ, કારણકે અભિમાની થવાથી કોઈ વસ્તુ સિદ્ધ થવાની નથી.માટે તમે સ્વસ્થ થઈને રહો. હે,રઘુવર,તમારામાં અભિમાન નો અભાવ છે અને તમને કાર્યમાં આસક્તિ નથી તેથી તમે અકર્તા છો. વળી,તમારામાં અકર્તા ના અભિમાનનો અભાવ તથા કાર્યમાં આસક્તિ ના હોવાથી, તમે કર્તા પણ છો.!!! અને આ પ્રમાણે તમને જો કે "કર્તા-પણું" પ્રાપ્ત થયું,તો પણ સાધારણ લૌકિક-કર્તા ને જે પ્રમાણે ભ્રમ થાય છે તેમ,તમને ભ્રમ થવા સંભવ નથી. માટે,જ,સાચી વસ્તુ ને ગ્રહણ કરવું અને મિથ્યા વસ્તુનો ત્યાગ કરવો. હવે –“કર્મનાં જે જે ફળ છે,તે તે સત્ય છે” એમ માની ને મનુષ્ય ને તે "ફળ ગ્રહણ કરવાની આસક્તિ" થાય છે, અને (ફળ ગ્રહણ કરવા) માટે જ મનુષ્યને "કર્મમાં આસક્તિ" થાય છે, પણ ખરું,જોતાં,આ અખિલ ઇન્દ્રજાળ માયા-મય અને મિથ્યા છે તો પછી, તેમાં આસક્તિ,ત્યાગ અને ગ્રહણ-કરવાની દૃષ્ટિ કેમ સત્ય હોઈ શકે? જે,અવિદ્યા છે તે સંસારનું બીજ છે અને તે મિથ્યા છે,છતાં તે વૃદ્ધિ પામેલી છે.અને આ વાસના રૂપી અવિદ્યા, બ્રહ્માંડ સુધી પહોંચેલી અને પાર વિનાની છે.તથા ચિત્તને અત્યંત મોહ પમાડનારી છે. આ અવિદ્યા-રૂપી વાસના એ વાંસ ની જેમ અંદર થી પોલી અને સાર-રહિત છે.અને તેનો મૂળથી કાપ્યા વિના નાશ થતો નથી.કોઈ તેને હાથ થી પકડવા જાય તો પણ તેને પકડી શકતી નથી. જેમ પાણીના ઝરણાં કોમળ હોય છે છતાં તે કાંઠાના ઝાડને ઉખાડી નાખે છે, તેમ,અવિદ્યા પણ કોમળ દેખાય છે છતાં તીક્ષ્ણ ધારવાળી છે. જેમ,મૃગજળ ની નદી જળથી યુક્ત । દેખાય છે,પણ તે જળ પીવાના કે સ્નાન કરવાના ઉપયોગમાં આવતું નથી,તેમ,અવિદ્યા કાર્ય કરવામાં સમર્થ જણાય છે છતાં,સત્ય-પુરુષાર્થમાં તે ઉપયોગી નથી. તે અવિદ્યા અંદરથી શૂન્ય હોવા છતાં સાર-વાળી જણાય છે.તે કોઈ-કોઈ ઠેકાણે રહેલી નથી તો પણ સર્વ સ્થળે દેખાય છે,પોતે જડ છે છતાં ચૈતન્ય-રૂપે રહીને મન ને ચંચળ કરે છે. તે પોતે પણ ચંચળ હોવા છતાં તે સ્થિર છે તેવી શંકાને પેદા કરે છે. તે તેનો અગ્નિ જેવો શુદ્ધ વર્ણ દેખાય છે પણ તે કાળી મેંશ જેવી મલિન છે. તે,પરમાત્મા ના પ્રસાદથી (કૃપાથી) તે નૃત્ય કરે છે,પણ પરમાત્મા નો સાક્ષાત્કાર થવાથી તેનો નાશ થાય છે. 236 તે અવિદ્યા,વાંકી છે,વિષ-મયી છે,પાતળી છે,કોમળ છે,કર્કશ છે,ચંચળ છે,લંપટ છે,તૃષ્ણા-રૂપ છે,અને કાળી સાપણ જેવી છે.તેના પર સ્નેહ (આસક્તિ કે રાગ) ના રાખવાથી તેનો ક્ષય થાય છે.

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255