Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 231
________________ જેમ બાળક રમકડાં મળ્યાથી તે રમકડાંમાં નાચે છે,તેમ મન એ પ્રાણીમાત્રમાં નાચે છે. જેમ,અંધારામાં માર્ગમાં ચાલતા વટેમાર્ગુને –દુરથી ઝાડનું ઠુંઠું પિશાચ-રૂપ લાગે છે, તેમ,અજ્ઞાનીને પોતાના મનથી અભયમાં પણ ભય લાગે છે. જેમ દારુ પીને મદોન્મત થયેલા ને પૃથ્વી ભમતી લાગે છે,તેમ,કલંક થી મલિન થયેલું મન, મિત્રમાં પણ શત્રુ ની શંકા કરે છે.મનુષ્ય નું મન જયારે આકુળ હોય ત્યારે,જો અમૃત નું પણ ઝેર ના ભાવથી ભોજન કરવામાં આવ્યું હોય તો તે ભોજન એ ઝેર ના જેવું જ કામ કરે છે. વાસના એ જ પ્રાણીમાત્ર ના મનને મોહના કારણ-રૂપ છે,માટે વાસનાને મૂળમાંથી કાપી નાખવી જોઈએ. જે મનુષ્યે વિચાર કરીને વાસનાનો ત્યાગ કર્યો હોય,તે મનુષ્યમાં આત્મા સૂર્ય ની જેમ પ્રકાશે છે. એટલા માટે દેહ નહિ પણ મન એ જ મનુષ્ય છે તેમ સમજો.મન વડે જે કર્યું તે જ કર્યું અને મન વડે જેનો ત્યાગ કર્યો તેનો જ ત્યાગ થાય છે.આ સમગ્ર જગત તથા ભૂમંડળ એ મનોમાત્ર છે. મન એ જ આકાશ,પૃથ્વી,ને વાયુ છે.અગ્નિ માં તેજ અને સૂર્યમાં જે પ્રકાશ છે તે પણ મનથી જ કલ્પિત છે. જે મનુષ્ય નું મન મોહ પામે તે જ મનુષ્ય મૂઢ કહેવાય છે,કારણકે- શરીરનું મરણ થયા પછી “શબ એ મૂઢ છે” એમ કોઈ કહેતું નથી. મન જયારે જુએ છે ત્યારે તે નેત્ર (આંખ) થાય છે,મન જયારે સાંભળે છે ત્યારે તે કાન થાય છે, સ્પર્શ કરે છે ત્યારે ત્વચા (ચામડી) થાય છે,સુંઘે છે ત્યારે નાક અને રસ ગ્રહણ કરે ત્યારે જીભ થાય છે. આ પ્રમાણે નટ (નાટ્ય-કલાકાર) જેમ બહુ વેશ ધારણ કરે છે,તેમ મન એ દેહમાં બહુ વૃત્તિઓ થી બહુ જાતના વેશ ધારણ કરે છે. મનુષ્યને ચિત્ત-વૃત્તિમાં જેવો પ્રતિભાસ થાય છે,તેવો જ પ્રત્યક્ષ અનુભવ થાય છે.અને તેવા પ્રતિભાસ ને લીધે જ સ્વપ્ન થી આકુળ ચિત્ત-વાળા હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિ બાર વર્ષ ની થઇ પડી હતી. જેવી રીતે,સવારે રાજ્ય મળવાનું છે –એવા બંદીવાન ને સવારે રાજ્ય મળશે એવી મનમાં આશા હોવાથી, તે બંધન પણ સુખ-રૂપ લાગે છે,તેવી રીતે,સારી મનોવૃત્તિ વડે રૌરવ નર્ક પણ સુખ-રૂપ થઇ પડે છે. જેમ,મોતીના હારમાં થી દોરો બળી જાય છે તો બધાં મોતી વિખરાઈ જાય છે, તેમ,મન ને જીતવાથી સર્વ ઇન્દ્રિયો જીતાય છે. તે ચિત્ત-શક્તિ-રૂપ બ્રહ્મ તો પોતાની સત્તાથી વાણી-વગેરે સર્વ ક્રિયાથી શૂન્ય છે,તેમ છતાં, તે બ્રહ્મને,પણ “મન” એ - દેહ સમાન જડ બનાવી,તેની અંદર, સંકલ્પ-વગેરેની ભ્રાંતિ થી અને બહાર-પર્વત, નદી,સમુદ્ર,આકાશ-વગેરે ની કલ્પના કરાવી-વ્યર્થ ભમાવે છે. મન વિવેક-વાળું હોય તો પણ,તે મન,પોતાની ઇષ્ટ વસ્તુને (જો કે તે સારી ના હોય તો પણ) અમૃત સમાન મધુર બનાવે છે.અને સારી વસ્તુને વિષ-તુલ્ય બનાવે છે. આવી રીતે સંપૂર્ણ તત્વ-જ્ઞાન ના થવાથી જેને પૂર્ણતા પ્રાપ્ત થઇ નથી,તેવા (અજ્ઞાની) મનુષ્ય નું મન, ઉપર પ્રમાણે –કલ્પના થી પોતાને યોગ્ય આકાર તથા રૂપને ઉત્પન્ન કરે છે. પણ તત્વ-વેતા (જ્ઞાની) નું મન એ પ્રમાણે કરતુ નથી. 231 ચૈતન્ય-શક્તિ થી સ્ફુરણા પામેલું મન-સ્પંદ થી વાયુ-પણા ને પામે છે,પ્રકાશમાં પ્રકાશ-પણાને પામે છે, દ્રવ-પદાર્થમાં દ્રવ-પણા ને પામે છે, પૃથ્વીમાં કઠિન-પણાને પામે છે,અને શૂન્ય-દૃષ્ટિ માં શૂન્યતા ને પામે છે. આ પ્રમાણે ચિત્ત-શક્તિ થી ઈચ્છા પ્રમાણે મન ની સ્થિતિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255