Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 67
________________ ૧૨૧ થઈ દીક્ષા લીધી. કેવલી થયા. જંગલમાં વિહરતા ગયા ત્યાં પાંચસો ચોરને ગાઈનાચીને પ્રતિબોધ આપ્યો. એ મહાત્મા શ્રાવસ્તીના હતા. શ્રી સ્કંધકાચાર્ય મૂળ શ્રાવસ્તીના. બહોત ગઈ થોડી રહી, એ કથા આ શ્રાવસ્તીમાં ઘટી. શ્રી કેશીગણધર અને શ્રી ગૌતમસ્વામીજી મહારાજાની હૃદયંગમ મુલાકાત આ શ્રાવસ્તીમાં થઈ હતી. આજે સહેટ-ઉદ્યાનની સામે આપણું નાનું આમ્રવન છે. તેમાં કોષ્ટવનપ્રભુવીરની ચાતુર્માસ ભૂમિની રચના કરવાની આપણા લોકોની ભાવના છે. સરકારી કાયદાને લીધે એ નથી થતું. અલબત્ત આજુબાજુમાં બૌદ્ધમંદિરો અને સંસ્થાનો તો થયાં જ છે. ચૈત્રી અમાસ : મહારાજગંજ ઘણાં બધાં તીર્થોની યાત્રા કર્યા પછી મનમાં થતું કે આ બધાય તીર્થોનું એક સામૂહિક સ્મારક બને તો કેવું ? એ તીરથમાં ભારતનાં દરેક મુખ્ય તીર્થોની પ્રતિકૃતિ હોય. મતલબ એ દરેક તીર્થોનાં જિનાલયોની નાની એવી રચના થઈ હોય. આજે ચૈત્રી અમાસના ગુરુવારે સોમપ્રભાનગર નામક સંકુલમાં ચારોધામ મંદિરમાં ઉતારો મળ્યો છે. હજી આ હિંદુમંદિરની પ્રતિષ્ઠા નથી થઈ, કામ ચાલુ છે. આપણાં જિનાલયોમાં ભમતી હોય છે તેમાં પ્રભુમૂર્તિઓ મૂકીને ચોવીશ જિનાલય કે બાવન જિનાલય બને છે તેમ અહીં ભમતી કરી છે. ગભારા નથી, માત્ર ગોખલા છે. ગોખલામાં શું મૂકશે તે ખબર નથી. ૪૮ ગોખલા છે, બે બે ગોખલાની વચ્ચે ભીંત છે ત્યાં ભીંત પર મૂક્યાં છે, પથ્થરમાં કોતરેલાં તીર્થચિત્રો. કુલ ૪૦ ચિત્રો કોતર્યા છે તેમાં બે ચિત્રો આપણા તીરથનાં છે. દરેક તીરથની ઉપર નામ લખ્યા છે ઃ રામેશ્વરમ્, પુષ્કર, કૈલાસમંદિર, મીનાક્ષીમંદિર, કાશી વિશ્વનાથ, દેવપ્રયાગ. આ ક્રમમાં આપણા બે તીરથનાં નામ છે : જૈન તીર્થ અને રાણકપુર. બહારથી જ જોયું હતું. અંદર જવાનું નહોતું છતાં દૂરથી બે નામ બરોબર વંચાતાં હતાં. ચિત્રપટ પણ દેખાતાં હતાં. અજાણ્યા લોકો અણધારી રીતે આપણો સમાવેશ કરી લે તે નાનીસૂની ઘટના નથી. આ સકલતીર્થમંદિર અસંભવિત નથી. માત્ર આપણાં જ જૈન તીર્થોની પ્રતિકૃતિઓનું સ્થાપનાતીર્થ એટલું સુંદર બની શકે કે ભારતના તમામ ધર્મીઓ જોવા આવે. શાસનપ્રભાવના પણ થાય. સાધુથી આવા સપનાં ન જોવાય. આવા તીર્થો ગૃહસ્થો બનાવે. જોકે, ૧૨૨ આજે તીર્થોદ્ધારનો અને તીર્થસ્થાપનાનો માહોલ છે તેમાં આટલી અમથી પ્રેરણા કોઈ ઝીલી લે તો કામ બની જાય. વૈશાખ સુદ ૧-૨ : ઇન્દ્રપુર શ્રાવસ્તી ભૂલાતું નથી. સહેટ-મહેટના અવશેષો વચ્ચે ચાલતી વખતે અનહદ શાંતિ સાંપડતી હતી. કોઈ સાધકનો સમાહિતભાવ જાણે રેલાતો હતો. મૌન સ્વયંભૂ આવિષ્કાર પામતું હતું. બોલવામાંથી રસ ઊડી ગયો હતો. માત્ર વૃક્ષોનો મર્મરનાદ ગુંજતો હતો. ચાલવાની ગતિ અનાયાસ ધીમી બની ગઈ હતી. ઈંટનો રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જવાનું હતું. ઉદ્યાનની સાથે અવશેષો સાચવવામાં આવ્યા હતા. વૃક્ષોમાં કોયલનો વાસ હતો. ઊભા ખંડેરોમાં ઇતિહાસ હતો. ઇતિહાસ આગળ બોલવાનું નથી હોતું. ચિરશાંતિમાં પર્યવસાન એ જ જિંદગીનો આખરી દસ્તાવેજ છે. માણસ ભૂલાઈ જાય છે. અથવા તેનું નામ ભૂંસાઈ જાય છે. યથાવત્ ટકી રહેવાનું આદમીનું ગજું નથી. માણસનું શરીર સ્મશાનમાં અવશેષ થાય છે. ખંડેરોમાં માણસની ઝંખનાના અવશેષ રહી જાય છે. સાપના લીસોટા ભૂંસાઈ જાય છે, માણસના નહીં. નવી કહેવત હોવી જોઈએ. માણસ ગયા ને ખંડેર રહ્યાં. લાલ ઈંટોનાં આ વાસ્તુઓ ચૂપકીદી જાળવીને બધું જીરવી ગયાં છે : સૂત્રધારનું સ્વપ્ન અને મકાનમાલિકની લાગણી, વિદાય લેનારની વેદના અને સદા માટે ચાલી જનારનો આખરી ઝૂરાપો, મુસ્લિમ આક્રમણના હથોડાબંધ જખમ અને સંશોધકોની શોધખોળમાં નીતરતી હૂંફ. એ તૂટી ગયા, દટાઈ ગયા, બહાર આવ્યા ને બગીચાથી છવાયેલાં બન્યાં. એમનો પ્રતિભાવ કોઈ નથી. જિંદગી આવી હોવી જોઈએ. ગમે તે ઘટના બને કે ગમે તે માણસ આવે, મન અલિપ્ત રહેવું જોઈએ. આપોઆપ શાંતિ ઉમટી આવે. વૈશાખ સુદ ચોથ : અયોધ્યા શ્રાવસ્તીથી અયોધ્યા આવ્યા. અયોધ્યા હવે ફરી નહીં અવાય. અયોધ્યામાં શું જોયું ? ઘણા બધા સાધુબાવાઓ, પાન ખાઈને લાલ મોઢેથી ગમે ત્યાં ચરકે, ચહેરા પર નૂર ન મળે. ચલમની કસ લઈને ખાલીપો ટાળવા મથે. પીળાં કે

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107