________________
આવનાર ભાગ્યશાળીઓને પ્રભાવના કરતાં. વળી, રાત્રિજગો કરતાં, ત્યાં પણ પ્રભાવના કરતાં. ક્યાંક તો આગમને પધરાવવાની જગ્યાને એટલી સરસ શણગારવામાં આવતી. ખાસ એ માટે દર્શન કરવા આરાધકોનો સમુદાય ઊભરાતો. બીજે દિવસે સવારે વળી વાજતે-ગાજતે મંડપમાં આવતા અને સોના-રુપાની મુદ્રા ચઢાવી સોના-રુપાના ફૂલથી વધાવી પૂજ્ય ગુરુદેવશ્રીને આગમ વહોરાવતાં, પછી ઇરયાવહી કરી તે આગમની આરાધના માટે કાઉસગ્ગ કરવામાં આવતો, બાદ ‘પવયણ શ્રુત સિદ્ધાંતથી’ દુહો ત્રણ વાર બોલી ત્રણ ખમાસમણા દેવાતાં. તે પછી ગુરુવંદન થતું. બાદ જે આગમનો પરિચય થવાનો હોય તે આગમના મૂળ સૂત્રનો થોડો અંશ પૂ. આચાર્યદેવ શ્રી નવરત્નસાગરસૂરિ મ. ફ૨માવતા. એ પછી એ આગમની ભૂમિકા અને પરિચય આપનાર પૂજ્યશ્રીનો પરિચય કરાવવાનું સૌભાગ્ય મને સાંપડેલું ને તે પછી પરિચય વાચના શરૂ થતી... વચમાં જ્યારે પણ સમય મળતો ત્યારે ચોમાસું કરવા આવેલી બાલિકાઓ ‘જિનાગમ શરણમમ’ ની ધૂન મચાવતી. આખો જનસમુદાય એ ધૂનમાં સાથે ભળી જતો ત્યારે વાતાવરણ ઘણું જ આહ્લાદક લાગતું હતું.
ભાદરવા વદ-૧થી આ વાચનાનો શુભારંભ એવી અદ્ભુત છટાથી થયો કે અનેક પૂજ્ય સૂરીદેવો અને પચાસથી વધુ પૂજ્ય શ્રમણ ભગવંતો તથા ૫૦૦થી વધુ પૂજ્ય શ્રમણી ભગવતીજીઓ પધારતાં અહીંના વાત્સલ્યમય વાતાવરણમાં તપાગચ્છઅચલગચ્છ-ત્રણ થોય-ચાર થોય-એક તિથિ કે બે તિથિના કોઈ પણ જાતના ભેદ વિસરાઈ ગયા હતા! શ્રાવક-શ્રાવિકાની સંખ્યા પણ એટલી બધી વધી ગઈ કે કે પન્નારુપા ધર્મશાળાનો વિશાળ હોલ સંકીર્ણ પડ્યો. રાજા પરિવારે એની સાથે બીજો મંડપ બંધાવી શ્રવણ સુવિધાને અખંડ રાખી હતી.
પવિત્ર એવા આગમ-શ્રવણનું પવિત્ર કાર્ય એવી જ પવિત્ર મર્યાદાનુસાર થવું જોઈએ એવી પ્રેરણા થતાં દરેક વાચનાનું શ્રવણ ભાઈઓ અને બહેનોએ માથું ઢાંકીને જ કર્યું હતું. રાજા પરિવાર તરફથી આ માટે સ્પેશિયલ ટોપીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખુદ હિમાંશુભાઈ રાજાએ આખી વાચના પાઘડી, ખેસ-ધોતિયામાં પૂર્વકાલીન મહર્ધિક શ્રેષ્ઠીની અદામાં શ્રવણ કરીને આકર્ષક આલંબન પૂરું પાડ્યું હતું.
એક એક દિવસ વીતતો ગયો અને શ્રોતાઓની ભીડ વધતી ચાલી. માત્ર શ્રવણ જ નહિ, ચારે બાજુ વાચનામાં આવતા પદાર્થો નોટ-ડાઉન પણ થતા ચાલ્યા. એક-એક આગમ ઉપર શ્રોતાઓ આફરીન પોકારતા ગયા કે