Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૦૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પારકું ધન જોડાતાં ભાવશુદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી, એમ સ્પષ્ટ કહ્યું છે. છતાં પણ અન્ય વ્યક્તિનું ધન પોતાના ધનમાં આવી ગયું હોય તો, તે અન્યના ધનથી
ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ થાય. (૭/૧૦)
ટીકાર્થ :- → ‘આ મારા ધનમાં જેટલા પ્રમાણમાં મારા માટે સ્વીકારને અયોગ્ય એવું જેના સંબંધી ધન કોઈ પણ રીતે આવી ગયું હોય તેનાથી ઉત્પન્ન થયેલું જિનબિંબ કરવાનું પુણ્ય તેના માલિકનું થાવ' ← આવો શુભ આશય કરવાથી આ ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ થાય છે. પોતાના ધનમાં આવી ગયેલ બીજાના ધનથી પુણ્ય કરવાનો અભિલાષ નહિ હોવાથી પોતાનું ધન સર્વાંશથી શુદ્ધ થાય છે. (૭/૧૦)
(નોંધ : અહીં નીચે પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજીમ.ના સમુદાયના પૂ. મુનિશ્રી યશોવિજયજીમ. (હાલ આચાર્યશ્રીએ) ષોડશકપ્રકરણના પોતાના ભાવાનુવાદમાં આ પાઠનો જે વિશેષાર્થ આપ્યો છે, તે નીચે મુજબ છે.)
વિશેષાર્થ :- પૂર્વે (૬/૧૫-પૃષ્ઠ ૧૫૫) જણાવી ગયા તેમ શ્રાવક પોતાના ન્યાયોપાર્જિત દ્રવ્યથી જ દેરાસર બનાવે, અનીતિથી મેળવેલા દ્રવ્યથી કે પરદ્રવ્યથી નહિ. શ્રાવક પોતે દેરાસર સ્વદ્રવ્યથી બનાવતો હોય અને અજાણતાથી શ્રાવકના ધનમાં બીજા કોઈનું ધન આવી ગયું હોય તો તે ધનથી બનતા દેરાસરમાં બીજાનો પણ હિસ્સો હોવાથી લોકો તે દેરાસરને જોઈને પેલા ભાગ્યશાળીએ એકલાએ જ સ્વદ્રવ્યથી કેવું ભવ્ય જિનાલય બનાવ્યું છે !' આવી રીતે અધિકૃત શ્રાવકની પ્રશંસા કરે તો તે શ્રાવકને આંશિક રીતે મફતની પ્રશંસાનો દોષ લાગે. અંશતઃ પારકે પૈસે સુકૃત કરી પોતાના નામે સંપૂર્ણ યશ-કીર્તિ મેળવવાની ઇચ્છા તે મલિન આશય છે. આ મલિન મનોવૃત્તિ દૂર કરવા માટે દેરાસર નિર્માણમાં વપરાતા મારા ધનમાં બીજાનું ધન કોઈક રીતે આવી ગયું હોય તો તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય તેને મળો' આવી વિશુદ્ધ ભાવનાથી પોતાના ન્યાયોપાર્જિત ધનને શ્રાવક શુદ્ધ કરે. સ્વદ્રવ્યથી દેરાસર બનાવતા શ્રાવકને ખબર ન પડે તે રીતે બીજી કોઈ વ્યક્તિ તે દેરાસરનો લાભ મેળવવાના ઉદ્દેશથી ઇરાદાપૂર્વક પોતાનું ધન વગેરે તે શ્રાવકના ધનમાં ભેળવી દે અથવા અજાણતાથી બીજાનું ધન દેરાસરકારક શ્રાવકના ધનમાં આવી ગયું હોય તો પણ પોતાનો તેવો મલિન આશય ન હોવાથી દેરાસર બનાવનાર ઉપયોગવંત શ્રાવકને ૫રદ્રવ્યભક્ષણ વગેરે દોષ લાગતો નથી. છતાં પોતાના ધનમાં આવી ગયેલ પરદ્રવ્યથી પોતે પુણ્ય કમાઈ લેવાનો અને તેનાથી અમાનસમાન માનપાન મેળવી લેવાની ઇચ્છા ન રાખવાના લીધે ન્યાયોપાર્જિત ધન સર્વાંશે શુદ્ધ થાય છે. (૭/૧૦)