Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અંતરમાંથી ઉદ્ભવેલો આ રોગ બાહ્ય યોગો તથા સંબંધોમાં ફેલાય અને બધા પરિગ્રહોમાં વ્યાપ્ત બની સંપર્કમાં આવતા જીવરાશિ સાથે મોહ ભાવના કે વેરભાવના સંબંધો બાંધી એક વિશાળ સંસાર જાળ ઊભી કરે છે.
મટે ન અંતર રોગ” એમ કહીને શાસ્ત્રકાર આ આંતરિક કારણોને વિલય કરવાની વાત કરે છે અને જો આંતરિક કારણ વિલય ન થાય, તો જીવ ઉપાધિથી મુકત થતો નથી. મોક્ષ પામે કે ન પામે પરંતુ જો આ એનો અંતર રોગ મટે તો બધું સરળ થાય અને સહજભાવે જીવ શાંતિનો અનુભવ કરે, પરંતુ આ અંતરરોગ મટતો નથી તો બાકીના બધા ઉપચાર વ્યર્થ છે. એમ પણ ઈશારો કરેલો છે. આ અંતરરોગ શું છે ?
અંતરરોગ : આ વિષય ઉપર જરુરી વિવરણ કરી તેને સમજીએ. આપણે ત્યાં ત્રણ શબ્દો પ્રસિધ્ધ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ શબ્દોથી સમજાય છે કે બહારના આ ભૌતિક ઢાંચા સાથે કોઈ આંતરિક જગત જોડાયેલું છે અને આ આંતરિક જગતનો પરમાત્મા સાથે સંબંધ છે. તે જ રીતે સ્થૂલરોગ, અંતરરોગ અને તેનાથી આગળ વધીને કહો તો ચરમરોગ, આવા ભાવો પ્રગટ થાય છે. બાહ્ય ભૂમિકા, તે સ્થૂલ છે. જ્યારે આંતરિક ભૂમિકા તે સૂક્ષ્મ છે. રોગ શબ્દ જીવની વિપરીત દશાનો બોધક છે. અણગમતી પીડાદાયક અવસ્થા તે રોગ છે. આવા સ્કૂલ રોગનું અધિષ્ઠાન શરીર છે, પરંતુ આંતરિક અણગમતા પીડાદાયક અજ્ઞાન ભરેલા જે ભાવો છે, તે આંતરિક રોગ છે. તેનું ભાજન મનથી પર એવું આધ્યાત્મિક ક્ષેત્ર છે. ઉપાધિ પણ ત્રણ પ્રકારની છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આધિદૈવિક ઉપાધિ તે પ્રકૃતિજન્ય છે. અર્થાત સંસારના દ્રવ્યોમાં થતાં ઉલ્કાપાતને કારણે ઉપાધિ કે દુઃખ ઉત્પન્ન થાય છે, તે આધિદૈવિક છે. ખોટા સાધનો અને ખોટી રીતે વર્તાવ કરવાથી અથવા જે સાધન મળ્યા છે તેનો દુરુપયોગ કરવાથી, બિન જરુરી વ્યસનોનું સેવન કરવાથી આધિભૌતિક કષ્ટ ઊભું થાય છે. આ બન્ને ઉપાધિ બાહ્ય છે, પરંતુ ત્રીજી ઉપાધિ તે અંતર્ગત અધ્યાત્મ છે. જીવના વિપરીત પરિણામોથી કે વિભાવોથી અને તેના અજ્ઞાનથી જે આંતરિક પીડા ઊભી થાય છે તે આધ્યાત્મિક ઉપાધિ છે.
અહીં શાસ્ત્રકારે જે અંતરરોગ કહ્યો છે તે આ ત્રીજા નંબરની સૂક્ષ્મ આધ્યાત્મિક પીડાને સૂચવે છે, અને આ આધ્યાત્મિક ઉપાધિ તે જીવનો અંતરનો રોગ છે.
અંતર રોગની ગહનતા : આ આધ્યાત્મિક પીડા કે આ અંતર રોગનો આરંભ કયાંથી થાય છે ? જયારે ઘાતિકર્મોના વિપાક ઉદયમાન થાય, ત્યારે ઉદય પરિણામો આકાશના વાદળાઓની જેમ અંતરાત્મામાં છવાઈ જાય છે. જીવ જ્ઞાનના અભાવે તે ઉદયમાન પરિણામો સાથે જોડાય છે, તેનાથી દૂર રહી શકતો નથી. તીર્ણજ્ઞાનરુપી કરવત હોય તો જ આ ઉદયમાન કાષ્ટને ચીરી શકે છે. સમયસારના ટીકાકાર અમૃતચંદ્રસૂરીજીએ ઠીક જ કહ્યું છે કે જીવ પરાક્રમ કરી તીક્ષ્ણ આરાવાળી કરવતથી આ ઉદયમાન ભાવો રુપી કાષ્ટને વેરે છે. સ્વયં શાસ્ત્રકાર કવિરાજે કહ્યું છે કે “વિચરે ઉદય પ્રયોગ” અર્થાત્ ઉદય ભાવના પરિણામો સાથે ભળી ન જતાં તેમનો દ્રષ્ટા બની તે કર્મોની નિર્જરા થવા દે, પણ ઉદયમાન કર્મોના કારણે અજ્ઞાનવશ બની તેના પ્રત્યાઘાત રુપે આકૂળતા ઊભી ન કરે, વ્યાકૂળ ન બને, સમભાવે તટસ્થ બની સમતાપે પરિણમે તો આ રોગના
૩૮૩