________________
કાવ્યના સર્જન તથા ભાવન સાથે સંકળાયેલા વિષયોની આ શ્રેણી પ્રભાવશાળી છે અને તે, એક તરફથી, ગ્રંથકારના સાહિત્ય સિદ્ધાંતમાં આ વિષયોનું મહત્ત્વ દર્શાવે છે, જ્યારે, બીજી તરફથી, સાહિત્યના સર્જનવ્યાપારમાં જે અનેકવિધ તત્ત્વોનું સંકુલ સામંજસ્ય રચાય છે તે દર્શાવે છે. આ અધ્યાયમાં જે વિવિધ કાવ્યતત્ત્વોનું નિરૂપણ થયું છે તેનું વિશ્લેષણ કરતાં આપણને જણાય છે કે અહીં માત્ર વિષયો, સંજ્ઞાઓ તથા વિભાવનાની શ્રેણી જ માત્ર પ્રભાવશાળી નથી; પણ એ વિષયો અને વિભાવનાઓની તર્કબદ્ધ, ક્રમિક તેમજ વ્યવસ્થિત ગોઠવણી તથા એ સૌ વિષયો સંબધી અહીં જે વિસ્તૃત તેમજ સૂક્ષ્મ નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ આ ગ્રંથના વાચકને આકર્ષક તેમજ તૃપ્તિકર નીવડે છે.
પૂર્વપીઠિકામાં જણાવ્યા મુજબ, “કાવ્યાનુશાસન'ના કર્તાએ વિષયનિરૂપણની, ખરેખર નવીન, ત્રિસ્તરીય પદ્ધતિ અપનાવી છે જેમાં સૂત્રો, ઉદાહરણ સહિત સમજૂતી પૂરી પાડતી વૃત્તિ અને સૂત્ર તથા વૃત્તિ બંને પર વધુ પ્રકાશ પાથરતી ટીકા કે વ્યાખ્યાનો સમાવેશ થાય છે. “કાવ્યાનુશાસન' એ શીર્ષક સૂત્રોનું છે જેમાં સાહિત્યશાસ્ત્રની પરંપરાગત પરિભાષામાં વિષયોનો નામનિર્દેશ તથા લક્ષણો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે; જ્યારે “અલંકારચૂડામણિ' એ સંજ્ઞા વૃત્તિની છે જેમાં સૂત્રોને સમજાવીને, વિવરણ, વિવેચન તથા ઉદાહરણની મદદથી સૂત્રોના અર્થને સરળ બનાવવામાં આવ્યો છે. “વિવેક' સંજ્ઞાથી ઓળખાતી ટીકા કે વ્યાખ્યાનો હેતુ, વધારાની શાસ્ત્રીય માહિતી પૂરી પાડવાનો તથા ગ્રંથના વધુ જાણકાર વાચક માટે, ચર્ચા હેઠળના વિષયો સાથે સંબંધ ધરાવતાં કેટલાક મહત્વનાં વિચારો, સંજ્ઞાઓ તેમજ વિભાવનાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો છે. “અલંકારચૂડામણિ” તેમજ “વિવેકમાં, વિશાળ સંસ્કૃત સાહિત્યમાંથી વિશાળ સંખ્યામાં વીણેલા, રસપ્રદ તથા બોધપ્રદ, શ્લોકો રજૂ કરીને, ગ્રંથમાં નિરૂપાયેલા કઠિન વિષયો, પાઠકને, તરત સમજાય તેવાંમાં ઉદાહરણો પૂરાં પાડવામાં આવ્યાં છે. મંગલાચરણ
કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના પ્રારંભે બે મંગલશ્લોકો છે જે ગ્રંથના મંગલાચરણરૂપ છે. આ બેમાંથી પહેલો શ્લોક છે –
प्रणम्य परमात्मानं निजं काव्यानुशासनम् । आचार्यहेमचन्द्रेण विद्वत्प्रीत्यै प्रतन्यते ॥
૧૩