________________
અગાઉ થઈ ગયેલા ગ્રંથકારોએ ‘કાવ્ય' એ શબ્દને, સામાન્યતઃ, કાંતો ‘અલંકાર' શબ્દ સાથે અથવા ‘પ્રકાશ' એ શબ્દ સાથે-‘કાવ્યાલંકાર’ અને ‘કાવ્યપ્રકાશ’ના કિસ્સામાં બન્યું છે તેમ–પ્રયોજીને ચોક્કસ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ કે ખાસ સાહિત્યિક અભિગમ સૂચિત કર્યો છે. પણ શ્રીહેમચન્દ્રાચાર્યના કિસ્સામાં તો, ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથ, સંસ્કૃત ભાષા અને સાહિત્ય સાથે અર્થપૂર્ણ રીતે સંબંધ્ધ એવી શ્રી હેમચન્દ્રચાર્યની પોતાની રચેલી ‘અનુશાસનત્રયી’ કે ત્રણ ગ્રંથોની શાસ્ત્રીય અનુશાસન-શ્રેણીનો એક ભાગ બની રહે છે. આચાર્યશ્રીએ ‘અનુશાસન’ એ સંજ્ઞાનો પોતાના ત્રણ ગ્રંથોમાં શબ્દ, કાવ્ય અને છંદ એ શબ્દો સાથે સમાસ કરીને ‘શબ્દાનુશાસન’ ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’ એવાં શીર્ષકો યોજ્યાં છે તેનું આ જ મહત્ત્વ છે. આ અર્થમાં, ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથ સાહિત્યશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્ર વિશેનો સર્વગ્રાહી ગ્રંથ છે.
એ વાત તો તરત જ ખ્યાલમાં આવી જાય છે કે શ્રીહેમચન્દ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન’ એ નામાભિધાન પ્રયોજીને પ્રચલિત પરંપરાથી જુદો ચીલો પાડયો છે. આમ કરવાનું કારણ એ હતું કે આચાર્યશ્રી કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રને એક સ્વતંત્ર વિદ્યાશાખાનો અર્થાત્ સાહિત્યશાસ્ત્રનો મોભો આપવા માગતા હતા.
સમગ્ર કાવ્યાનુશાસન ગ્રંથનું અધ્યયન કરતાં જણાઈ આવે છે કે ગ્રંથનાં સૂત્રો, વૃત્તિ અને વ્યાખ્યા તથા તેની સમૃદ્ધ વિવેચનાત્મક તથા ઉદાહરણાત્મક સામગ્રી તેમજ ગ્રંથમાં વિષયની જે વ્યવસ્થિત યોજના છે અને પદ્ધતિસરનું નિરૂપણ છે એ બધાંને લીધે ગ્રંથને ‘કાવ્યાનુશાસન’ એ નામાભિધાન અપાયું છે તે પૂર્ણતઃ સાર્થક હરે છે અને તેથી જ આ ગ્રંથને સાહિત્યશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રના મહત્ત્વના ગ્રંથનો દરજ્જો પ્રાપ્ત થાય છે.
‘કાવ્યાનુશાસન’ ગ્રંથના અધ્યયનનો હેતુ તથા પદ્ધતિ
‘સાહિત્ય’ના કેન્દ્રવર્તી વિચાર સાથે ગ્રંથની વિષયશ્રેણીનો તાર્કિક સંબંધ લક્ષમાં રાખીને શ્રીહેમચન્દ્રચાર્ય પોતે જ ગ્રંથના વિષયવસ્તુનુ નિરૂપણ કરે છે તે કારણથી અને ગ્રંથના જુદા જુદા અધ્યાયોમાં આવતા જુદા જુદા વિષયો હેઠળ રજૂ થયેલી સમૃદ્ધ વિવેચન સામગ્રીનું અધ્યયન કરવાના હેતુથી,અહીં ‘કાવ્યાનુશાસન’નું, વૃત્તિ તથા વિવેચનાત્મક તથા ઉદાહરણાત્મક સામગ્રીથી ભરપૂર ‘વિવેક’ વ્યાખ્યા સાથે, સંપૂર્ણ વિવરણ કરવાનું યોગ્ય માન્યું છે. આથી દરેક અધ્યાયમાં ત્રણેત્રણ ગ્રંથભાગો(સૂત્ર, વૃત્તિ અને વ્યાખ્યા)નું વિવેચન કરીને, જે જે વિષયો તથા
૮