________________
ત્રિસ્તરીય રચના પદ્ધતિ અપનાવી છે તેને કારણે જ આ ગ્રંથ ભારતીય સાહિત્યશાસ્ત્રના અભ્યાસ માટેનો શ્રદ્ધેય ગ્રંથ બની શક્યો છે અને છેલ્લા કેટલાંય શતકો દરમિયાન આ ગ્રંથે પોતાની ઉપયોગિતા જાળવી રાખી છે. ગ્રંથના વિષયનું સ્વરૂપ અને નિરુપણપદ્ધતિ
કાવ્યાનુશાસન એ આઠ અધ્યાયનો બનેલો ગ્રંથ છે અને આ આઠેય અધ્યાયોનું વિશ્લેષણ કરતાં જણાય છે કે પ્રથમ છ અધ્યાયોમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં બધા જ મહત્ત્વનાં પાસાંની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે સાતમા અને આઠમા અધ્યાયમાં ગ્રંથકારે સાહિત્યકૃતિમાં આવતા નાયકતથા નાયિકાના વિવિધ પ્રકારોનું સર્વસાધારણ વર્ણન આપ્યું છે અને નાટક સહિતનાં જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોનો પરિચય કરાવ્યો છે. આમ, આઠ પ્રકરણોના વ્યાપમાં ગ્રંથકારે સાહિત્યશાસ્ત્રના સમગ્ર વિષયનું સર્વગ્રાહી નિરૂપણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને, અગાઉ નોંધ્યું છે તેમ, આ ગ્રંથમાં, આપણને, દરેક મહત્ત્વના વિષયનું વિગતવાર નિરૂપણ મળે છે જેમાં અનેક નાનીમોટી બાબતો વિશે રસપ્રદ ચર્ચાઓ તેમજ વિવેચનાત્મક નિરીક્ષણોસમાવી લેવાયાં છે. આ ઉપરાંત આ ગ્રંથમાં, કાવ્યનું પ્રયોજન; કાવ્યનું કારણ; કવિની સજ્જતા; કાવ્યનું સ્વરૂપ તથા કાવ્યલક્ષણ; શબ્દ, અર્થ, રસ, ગુણ, દોષ તથા અલંકાર જેવાં કાવ્યનાં આવશ્યક ઘટક તત્ત્વો; શબ્દ તથા અર્થ વિશેના સિદ્ધાંતો; કાવ્યાસ્વાદને ઉપકારક વિવિધ ભાષાગત, અર્થગત તથા કાવ્યગત પ્રક્રિયાઓ; રસાનંદને બાધક પરિબળો; નાયક-નાયિકાના ભેદો તથા સાહિત્યકૃતિઓના પ્રકારો તથા તેમના ભેદો-પ્રભેદોનાં લક્ષણો વગેરે મહત્ત્વની સાહિત્યિક વિચાર-વિભાવનાઓને સ્પષ્ટ રીતે સમજાવવા માટે ગ્રંથકારે વિશાળ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી મોટી સંખ્યામાં આસ્વાદ્ય તેમજ જ્ઞાનપ્રદ શ્લોકો ઉદાહરણરૂપે પ્રસ્તુત કર્યા છે. ગ્રંથનું અર્થપૂર્ણ શીર્ષક
આમ “કવ્યાનુશાસન' ગ્રંથમાં એના વિશાળતમ અર્થમાં કાવ્યનાં વિવિધ પાસાંની માવજત કરવામાં આવી છે જેથી ગ્રંથનું નામ સાર્થક ઠરે છે.
વક્રોકિતજીવિત’ના કર્તા કુંતકે કહ્યું છે કે ગ્રંથકર્તાઓએ એમના ગ્રંથોનું નામાભિધાન એવી રીતે કરવું જોઈએ કે નામ પરથી જ ગ્રંથના વિષયનું હાર્દ પ્રગટ થઈ જાય. આ અભિપ્રાય અત્યંત સચોટ છે જેનો મર્મ એ છે કે ગ્રંથોનાં નામો અર્થપૂર્ણ કે સાર્થક હોવાં જોઈએ. આ કસોટીએ પણ શ્રી હેમચન્દ્રાચાર્યે આ ગ્રંથનું કાવ્યાનુશાસને એવું જે નામ રાખ્યું છે તે પૂરેપૂરું ઉચિત છે; સાર્થક છે.