SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨/અધ્યયન–૧ [ ૧૫] आहारसमिइजोगेणं भाविओभवइ अंतरप्पा असबलमसंकिलिट्ठणिव्वणचरित्तभावणाए अहिंसए संजए सुसाहू । ભાવાર્થ :- અહિંસા મહાવ્રતની ચોથી ભાવના એષણા સમિતિ છે. આહારની એષણાથી શુદ્ધ અર્થાત્ એષણા સંબંધી સમસ્ત દોષોથી રહિત, મધુકરીવૃત્તિથી અનેક ઘરોમાંથી ગૌચરીની ગવેષણા કરવી જોઈએ. ભિક્ષા લેનારા સાધુ અજ્ઞાત સંબંધવાળા રહે; અમૃદ્ધ-આસક્તિથી રહિત હોય; અદુષ્ટ-દ્વેષથી રહિત હોય અર્થાત્ ભિક્ષા ન દેનારા દાતા પર દ્વેષ ન કરે; આહાર ન મળે તો દીન ન બને; મન, વચન કાયાની સમ્યક્ પ્રવૃત્તિઓમાં નિરંતર રત રહે. પ્રાપ્ત થયેલા સંયમ યોગોની રક્ષા માટે યત્નાશીલ અને અપ્રાપ્ત સંયમ યોગોની પ્રાપ્તિને માટે પ્રયત્નવાન, વિનયનું આચરણ કરનાર તથા ક્ષમા આદિ ગુણોની પ્રવૃત્તિથી યુક્ત એવી ભિક્ષાચર્યામાં તત્પર ભિક્ષુ અનેક ઘરોમાં ફરીને થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે; પોતાના સ્થાને ગુરુજનોની સમક્ષ જઈને; મુનિ ગમનાગમનના અતિચાર દોષોનું પ્રતિક્રમણ કરે; જે આહાર પાણી લીધેલા છે તેના દોષોની આલોચના કરે; આહાર પાણી બતાવી દે પછી ગુરુજનો અથવા ગુરુજનો દ્વારા નિયુક્ત કોઈ અગ્રગણ્ય સાધુના આદેશ અનુસાર જ્યાંથી જે રીતે ભિક્ષા ગ્રહણ કરી છે તે રીતે સર્વ અતિચારોની આલોચના કરીને, અપ્રમત થઈને, વિધિપૂર્વક અને એષણા દોષોની નિવૃત્તિને માટે ફરીથી પ્રતિક્રમણ, કાઉસ્સગ કરે. ત્યાર પછી શાંતભાવે સુખપૂર્વક આસને બેસી, મુહૂર્તભર ધર્મધ્યાન, ગુરુની સેવા આદિ શુભયોગ, તત્ત્વચિંતન અથવા સ્વાધ્યાય દ્વારા પોતાના મનનું ગોપન કરીને; ચિત્ત સ્થિર કરીને શ્રુત ચારિત્રરૂપ ધર્મમાં સંલગ્ન મનયુક્ત થઈને; ચિત્ત શૂન્યતાથી રહિત થઈને; સંકલેશથી મુક્ત રહીને, ક્લેશ અથવા દૂરાગ્રહથી રહિત મનવાળા થઈને; સમાધિયુક્ત મનવાળા પોતાના ચિત્તને ઉપશમ ભાવમાં સ્થાપિત કરીને શ્રદ્ધા, સંવેગ-મોક્ષની અભિલાષા અને કર્મનિર્જરામાં ચિત્તને સંલગ્ન કરીને પ્રવચનમાં વત્સલતામય મનવાળા થઈને, સાધુ પોતાના આસનથી ઊઠીને, આનંદિત, સંતોષયુક્ત થઈને યથારાત્વિક અર્થાતુ દીક્ષા પર્યાયમાં નાના-મોટાના ક્રમાનુસાર અન્ય સાધુઓને આહાર માટે આમંત્રિત કરે. લાવેલા આહારનું ગુરુજનો દ્વારા વિતરણ કર્યા પછી ઉચિત આસન પર બેસે. મસ્તક સહિત શરીરને તથા હથેળીને સારી રીતે જોઈ–પોંજી, આહારમાં અનાસક્ત થઈ, સ્વાદિષ્ટ ભોજનની લાલસાથી રહિત થઈ તથા રસોમાં અનુરાગ રહિત થઈ દાતા અથવા ભોજનની નિંદા કર્યા વિના, સારી વસ્તુઓમાં આસક્તિ રાખ્યા વિના, અકલુષિત ભાવે, લોલુપતાથી રહિત થઈને આહાર કરે. પરમાર્થ બુદ્ધિના ધારક સાધુ ભોજન કરવા સમયે સુ-સુ અવાજ ન કરે, ચપ-ચપ અવાજ ન કરે અને ન અતિ ધીમે ભોજન કરે. ન અતિ ઉતાવળે ભોજન કરે; ભોજન જમીન ઉપર ન પડવા દે; મોટા પાત્રામાં, પ્રકાશયુક્ત સ્થાનમાં, યતના પૂર્વક, આદરપૂર્વક અને સંયોજન આદિ દોષોથી રહિત, અંગાર તથા ધૂમ દોષથી રહિત, ગાડીની ધુરીમાં તેલ પૂરવા અથવા ઘાવ પર મલમ લગાવવા સમાન, ફકત સંયમયાત્રાના નિર્વાહ માટે અને સંયમના ભારને વહન કરવા માટે પ્રાણોને ધારણ કરવાના ઉદેશ્યથી સમ્યક પ્રકારે યત્નાપૂર્વક ભોજન કરે. આ પ્રકારે આહાર સમિતિ(એષણા સમિતિ)ની પ્રવૃત્તિથી જેનો અંતરાત્મા ભાવિત થાય છે,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy