________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ચાર્વાકમત-નિરાકરણ
“કોઈ સર્વજ્ઞદેવ, ધર્મ, અધર્મ, મોક્ષ, પરલોક અને પાપ-પુણ્યનું ફળ છે જ નહિ. આ ઇંદ્રિયગોચર જે કંઈ છે તે જ લોક છે”—એમ ચાર્વાક કહે છે.
તેને પૂછીએ છીએ કે-સર્વજ્ઞદેવ આ કાળ-ક્ષેત્રમાં નથી કે સર્વકાળ-ક્ષેત્રમાં નથી? આ કાળ-ક્ષેત્રમાં તો અમે પણ માનતા નથી, પણ સર્વકાળ-ક્ષેત્રમાં નથી, એવું સર્વજ્ઞ વિના જાણવું કોને થયું? જે સર્વ કાળ ક્ષેત્રને જાણે તે જ સર્વજ્ઞ, તથા નથી જાણતો. તો નિષેધ કેવી રીતે કરે છે ?
વળી ધર્મ-અધર્મ લોકમાં પ્રસિદ્ધ છે, જો એ કલ્પિત હોય તો સર્વજનસુપ્રસિદ્ધ કેવી રીતે હોય? ધર્મ-અધર્મરૂપ પરિણતિ થતી પણ જોઈએ છીએ, અને તેનાથી વર્તમાનમાં જ સુખીદુઃખી થતા જોઈએ છીએ, તો તેને કેમ ન માનીએ? મોક્ષનું હોવું અનુમાનમાં આવે છે, કારણ કે-ક્રોધાદિક દોષ કોઈમાં ઓછા છે, કોઈમાં વધારે છે, તેથી જાણીએ છીએ કે-કોઈમાં એની નાસ્તિ પણ થતી હશે. તથા જ્ઞાનાદિક ગુણો કોઈમાં ઓછા ને કોઈમાં વધારે દેખાય છે, તેથી જાણીએ છીએ કે-કોઈને સંપૂર્ણ પણ થતા હશે એ પ્રમાણે જેને સર્વ દોષોની હાનિ તથા ગુણોની પ્રાપ્તિ હોય તે જ મોક્ષ અવસ્થા છે.
વળી પુણ્ય-પાપનું ફળ પણ જોઈએ છીએ, જુઓ-કોઈ ઉદ્યમ કરે તોપણ દરિદ્રી રહે છે, ત્યારે કોઈને સ્વયં લક્ષ્મી થાય છે. તથા કોઈ શરીરનો યત્ન કરે તોપણ રોગી રહે છે, ત્યારે કોઈને વિના યત્ન પણ રોગ મટી જાય છે-નીરોગતા રહે છે. ઇત્યાદિ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનું કારણ કોઈ તો હશે? જે એનું કારણ છે, તે જ પુણ્ય-પાપ છે.
વળી પરલોક પ્રત્યક્ષ-અનુમાનથી ભાસે છે. વ્યંતરાદિક છે તે એવું કહેતા જોવામાં આવે છે, “હું અમુક હતો, તે દેવ થયો છું” તું કહીશ કે “એ તો પવન છે,” પણ અમે તો “હું છું” ઇત્યાદિ ચેતનાભાવ જેના આશ્રયે હોય, તેને જ આત્મા કહીએ છીએ. હવે તેનું નામ તું પવન કહે છે, પણ પવન તો ભીંત આદિવડ અટકે છે, પરંતુ આત્મા તો દાયો કે બંધ કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય ?
તથા જેટલો ઇંદ્રિયગોચર છે તેટલો જ તું લોક કહે છે, પણ તારી ઇંદ્રિયગોચર તો થોડા જ યોજનના દૂરવર્તી ક્ષેત્ર અને થોડા સરખા અતીત-અનાગત કાલ અર્થાત્ એટલા પણ ક્ષેત્રકાળવર્તી પદાર્થો થઈ શકતા નથી, અને દૂરદેશની વા ઘણાકાળની વાતો પરંપરાગત સાંભળીએ છીએ. માટે સર્વનું જાણવું તને નથી, તો તું આટલો જ લોક કેવી રીતે કહે છે?
Please inform us of any errors on
[email protected]