SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જિંદગી યાત્રા બનતી નથી ! ધર્મે મશાલને બદલે મશીનગન લીધી ! પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈની સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે-છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને ! આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે. પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુવૃત્તિનો કચરો પડ્યો હોય તો એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે. જેમ વ્યક્તિના શરીરથી એની ત્વચા વેગળી હોતી નથી, એમ ધર્મ માનવના શરીરથી વેગળો હોતો નથી. શરીર પર ચામડી પાછળથી ચડાવવામાં આવી નથી કે કોઈએ લગાડી નથી, કિંતુ દેહ સાથે આર્વિભાવ પામી છે. ધર્મ એ વ્યક્તિની ત્વચા હોવા છતાં કેટલાક પોતાની જાતને અને અહમૂને શોભાયમાન કરવાનું એને આભૂષણ માને છે અને મહાઅનર્થ સર્જે છે. ધર્મને અંદરથી ઉગાડવાને બદલે બહારથી પહેરે છે. ધર્મ એ પ્રેમ નથી, જે બહારથી લગાડી શકાય. ધર્મ એ તો માનવમાં ઓતપ્રોત થઈ ગયેલી સંજીવની છે. એને બાહ્ય રૂપે બતાવવાની કશી આવશ્યકતા નથી. ધર્મને કમરૂપે લગાડનાર કે આભૂષણરૂપે પહેરનાર મહા અધર્મ ઊભો કરે છે, કારણ કે એને માટે ધર્મ એ બાહ્ય પ્રક્યિા બની જાય છે. હકીકતમાં સઘળા ધર્મો સમાન છે, કોઈ ધર્મ ઊંચો નથી કે કોઈ ધર્મ નીચો નથી, જેમ કોઈ જાતિ ઊંચી નથી કે કોઈ જાતિ નીચી નથી; પરંતુ જ્યારે જ્યારે પોતાના ધર્મને ચડિયાતો માનવામાં આવે અને એથી વિશેષ બીજાના ધર્મને હીન ગણવામાં આવે ત્યારે અધર્મ પેદા થાય છે. અન્યના ધર્મને હલકો, નિમ્ન કે અધમ દેખાડવા માટે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરનાર જગતમાં વેરઝેર રોપીને યુદ્ધો આદરે છે. આ યુદ્ધમાં ધર્મને નામે અધર્મ જ મહાલતો હોય છે. એમ કહેવાય છે કે આ જગતમાં ધર્મને નામે જેટલાં યુદ્ધો થયાં, એટલાં યુદ્ધો બીજા કશા કારણે થયાં નથી, પણ હકીકત એ છે કે આ યુદ્ધો ધર્મને કારણે થયાં નથી, પરંતુ ધર્મના બહાને પોતાના મલિન હેતુઓ અને સંકુચિત વિચારો ફેલાવનારા અધર્મીઓએ કર્યો છે. એમણે ધર્મનો સંબંધ માનવચેતનાને બદલે બાહ્યવૈભવ કે વ્યાપક પ્રભાવ સાથે જોડ્યો અને એમણે ધર્મના ચૈતન્યની મશાલને બદલે હાથમાં મશીનગન લીધી ! 6 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy