SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ માનભર્યું વિશેષણ લેખાતું. કારાગાર જેવાં અંતઃપુરો ને ક્રૂર પંઢ ચોકીદારો એની આસપાસ અભેદ્ય દીવાલો રચતા. સ્ત્રીને સ્વતંત્ર જીવન જેવું કાંઈ જ નહોતું ! આ સ્વતંત્રતાનું દ્વાર પહેલવહેલું ઉઘાડ્યું ભગવાન મહાવીરે. એમણે દાસબજારમાં વેચાયેલી દીન-હીન ચંદનાનો ઉદ્ધાર કર્યો અને એક દહાડો એને જ આગેવાન સાધ્વીને બનાવીને સાધ્વી-સંઘ સ્થાપ્યો. સ્ત્રી ઉપરના પુરુષના અનંત વર્ચસ્વનો ત્યાં અંત આવ્યો. ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવન જીવવા ઇચ્છતી, વિલાસ કરતાં વૈરાગ્યને પસંદ કરનારી, સ્વાર્થી પુત્રોના પાશમાં હિજરાયેલી, જુલ્મી પતિના હાથ નીચે હણાયેલી, લગ્નજીવનની અનિચ્છાવાળી અનેક સ્ત્રીઓ આ સંઘમાં ભળી. જે સંઘમાં આવી તેને સંઘના નિયમઉપનિયમ પાળવાના; બાકી સાંસારિક બંધનોથી સર્વથા પર. કૌશાંબીની રાણી મૃગાવતી ને અવંતીની રાણી શિવાદેવી જ્યારે એ સાધ્વીસંઘનું અવલંબન લઈ સંસારની દુષ્ટતાને તરી ગઈ ત્યારે તો એની સુકીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ. - સ્ત્રી એ દિવસો આધ્યાત્મિક સ્વતંત્રતા મેળવી શકી. ત્યાં એને પતિનો ત્રાસ, પિતાનો દાબ કે પુત્રનું ઓશિયાળાપણું નહોતાં. શીલ તો બંને સ્થાને એને અનિવાર્ય હતું, પણ અહીં એને સાથે સ્વમાન મળ્યું, જીવનની સ્વતંત્રતા લાધી. | નિયમન તો અહીં પણ હતાં ને ત્યાં પણ હતાં, પણ ત્યાંનાં નિયમનો લાદેલાં હોઈ એને પશુથી હીન બનાવતાં; આ નિયમનો ઐચ્છિક હોઈ જીવન વિકાસમાં સાથ પુરાવતાં. ઊછળતાકૂદતા રૂપેરી ઝરણ જેવી વાસવદત્તા એક અજબ વાતાવરણમાં ઊછરી નાની ઉંમરે મોટી સમજ મેળવી શકી હતી. માતા શિવાદેવીના આત્મિક પંથે-મુક્તિપંથે ગયા પછી, વાસવદત્તાને જીવન ઊણું-અધૂરું લાગ્યા કરતું. મૂર્તિમય રાગણી જેવી એ મુગ્ધ યોવના હવે ઘણી વાર ઉદાસીનતાની મૂર્તિ બની જતી. નૃત્ય, ગીત ને વાઘની પંડિતા હમણાં હમણાં એમાં નીરસ બની હતી. આજ સુધી જેને જીવન જીવવા વિશે વિચાર જ નહોતો આવ્યો, ને ઊંડા જળની સોનેરી માછલીની જેમ જે રંગીન દુનિયામાં માણતી હતી, ત્યાં એને હવે આગામી જીવન વિશે વિચાર આવ્યા કરતા. સજીવ સદેહી ઊર્મિકાવ્ય જેવી વાસવદત્તા વૈરાગ્યનું શુદ્ધ કાવ્ય બનતી જતી હતી. આંબાડાળે ટહુકા કરતી કોયલડી કે શ્રાવણના અનરાધાર નીરમાં ભીંજાઈને પાંખ ભીડીને બેઠેલી ચકલીની જેમ એ કંઈક વ્યાકુળ મનોદશા ભોગવતી હતી. પ્રચંડ, પરાક્રમી, ખાંડાના અજબ ખેલ ખેલનારો, અવંતીના રાજ્યને આર્યાવર્તનું એક મહાન સામ્રાજ્ય બનાવનારો રાજા પ્રદ્યોત, જે પોતાની ક્રોધપ્રકૃતિને લીધે ચંડપ્રદ્યોતનું ઉપમાન પામ્યો હતો. એ આ રૂપશીલા ને ગુણશીલા પુત્રી વાસવદત્તાને 148 D પ્રેમનું મંદિર જોઈને વાત્સલ્યધેલો બની જતો. અહીં એના અંતરના કઠોર દુર્ગમ પડ પાછળ છુપાયેલી સ્નેહની સરવાણી એકાએક ફૂટી નીકળતી, ને વાસવદત્તાને નિર્મળ સ્નેહના નીરથી સ્નાન કરાવતી. આ વેળા રાજા પ્રદ્યોત ગ્રીષ્મઋતુના ઝરણ જેવો શીતળ, તદ્દન સરળ પ્રકૃતિનો ને પ્રેમાળ સંગૃહસ્થ દેખાતો. રાજાઓના મિજાજને જાણનાર અવંતીના શાણા મહામંત્રી આવે વખતે કેટલાંક ગૂચવાળા કામોના નિકાલ માટે આવતા, ને જેવું જોઈએ તેવું આજ્ઞાપત્ર મેળવી લેતા. એ કોઈ વાર ખાનગીમાં કહેતા : “મહારાજ અવંતીપતિ બે વ્યક્તિઓ પાસે ડાહ્યાડમરો બની જાય છે : એક ભગવાન મહાવીર પાસે ને બીજી રાજ કુંવરી વાસવદત્તાની પાસે, એ વખતે એમનામાં સદ્ગૃહસ્થાઈ એટલી ઝળહળે છે, કે જાણે એ મહારાજ પ્રદ્યોત જ નહિ ! ધાર્યું કરાવી લો !” અષાઢનો મહિનો હતો, ને આકાશ ઝરમર ઝરમર વરસી રહ્યું હતું. ગ્રીષ્મના તાપથી અકળાયેલી સરખેસરખી સાહેલીઓનું એક વૃંદ રાજ કુંવરી વાસવદત્તાને ઉપવનમાં આમંત્રી જવા આગ્રહ કરી રહ્યું હતું. અકળાયેલી આ સખીઓ લજ્જાનાં આવરણ હલકાં કરીને ચંદનબાગમાં ઝરમર ઝરમર મેહુલાને ઝીલવા જવાની હતી. આકરો ઉનાળો અળાઈઓથી સુકુમાર દેહને જાણે ખાઈ ગયો હતો. કેળના સ્તંભ જેવી સ્નિગ્ધ દેહલતાઓ એને કારણે કર્કશ બની ગઈ હતી. આજે દેહને અને દિલને ખુલ્લી કુદરતમાં બહેલાવીને સહુની ઇચ્છા તનનો અને મનનો ભાર અલ્પ કરવાની હતી. કુંવરીબા, આ મેહુલો તો જુઓ ! પેલી તળાવડી દૂધે ભરાઈ ગઈ. એની મોતીની પાળ ઉપર મોરલા ઢેલ સાથે કળા કરી રહ્યા છે. લવિંગની લતા દેવકુસુમોથી લંબે ને ઝૂંબે ફૂલીફાલી છે. ચંદનનાં વૃક્ષો પરથી સુગંધિત મેઘજળ ચૂએ છે. ચાલો, ચાલો, મહારાજ પ્રદ્યોતની લાડકવાયી કુંવરી આમ ઊણી ને ઓશિયાળી કાં ?” એક સુખીએ કટાક્ષમાં કહ્યું. પણ વાસવદત્તા તો શાંત ને વિચારમગ્ન જ બેસી રહી. એની કમળદંડ જેવી નાકની સુરેખ દાંડી ને આભના બે તારલિયા જેવી આંખો જાણે એક રસકાવ્ય રચી રહ્યાં. “રે સખી ! ઘણમૂલા સાજન મેં સ્વપ્નામાં દીઠા !” બીજી સખીએ એક આંખ રાજ કુમારી તરફ ને બીજી આંખ સખીઓ તરફ અર્ધમચી રાખીને કટાક્ષ કર્યો. સપનાંની તો આ અવસ્થા છે, સખી ! પણ એમ ઉદાસ થયે કંઈ ચાલે ! અંતરની પ્રીત પીડા કરતી હોય તો કંઈક ઓષ્ઠ પર આણીએ તો સમજ પડે. આપણે તે કંઈ સર્વજ્ઞ છીએ કે અંતરની વાત વગર કહે સમજી લઈએ !” વાસવદત્તાએ આ યંગ તરફ લક્ષ ન આપ્યું. એણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો. વાસવદત્તા 1 149.
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy