SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે, તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું નથી. વળી કોઈ રાજકીય વિચારશ્રેણીનો પ્રચાર કરનાર વાદની પણ ગુજરાતના સાહિત્યકારે ભાગ્યે જ કંઠી બાંધી છે. ક્યારેક સર્જક દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ કાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે, જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનારા આપણો લેખક પણ ‘ગાંધીવાદી'ની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટાં ઉદાહરણો ગણાય. વળી જે મણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા. આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે ? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે – સ યાદ ન રમતે - તે એકલો રમતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્કો હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલાના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય- મીમાંસકો પણ સ્વીકારે છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રુચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં ૫૦૦ રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ. ૧૯૩૦ના દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠ, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે . તેમની શાંત-મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં એક-એક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે. ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં-નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખુબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રુચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય છે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે. ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે. સાહિત્યિક નિસબત સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૬
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy