________________
પરિશીલનની પૂર્વે.
અનન્તોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની એ વિશેષતા છે કે જે, મોક્ષની સાથે આપણા આત્માનો યોગ કરાવી આપે છે. આ પરમતારક શાસનને છોડીને બીજો કોઈ જ યોગ નથી.
આજ સુધી યોગનું નિરૂપણ માત્ર જૈનદર્શને જ કર્યું છે અને બીજાં દર્શનોએ એ કર્યું નથી એવું નથી. પરન્તુ બીજા દર્શનકારોએ કરેલા યોગનિરૂપણમાં અને શ્રી જૈનશાસને કરેલા એ નિરૂપણમાં ઘણું મોટું અન્તર છે. એ સમજાવવા માટે ગ્રન્થકારપરમર્ષિઓએ અનેક રીતે જુદી જુદી દૃષ્ટિએ યોગનું સ્વરૂપ તે તે ગ્રન્થોથી વર્ણવ્યું છે. એના અધ્યયનાદિ દ્વારા મુમુક્ષુ આત્માઓ યોગના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજી શકે છે.
આ યોગવિવેક' બત્રીશીમાં સામાન્ય રીતે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રન્થના આધારે વર્ણન કરતી વખતે શરૂઆતમાં જ ગ્રન્થકારશ્રીએ ઈચ્છાયોગના વિષયમાં ખૂબ જ મહત્ત્વની વાત કરી છે.