SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૫) સત્સંગના યોગે જીવની સંસારદશા અંતરંગથી પલટાઇ વૈરાગ્ય, સદ્ગુરુભક્તિ અને આત્મજ્ઞાનનું કારણ બને છેજી. તેવા યોગનો વિયોગ રહેતો હોય ત્યારે વિચારવંત જીવને સત્સંગયોગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શિખામણ, પ્રેરણા તથા સપુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્સંગતુલ્ય જાણી તેનો અભ્યાસ, ચર્ચા, સ્મૃતિ, ભાવના, તન્મયતા કરતા રહેવાથી વિશેષ કલ્યાણ થવાયોગ્ય જ્ઞાનીપુરુષે કહેલું છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે વિરહમાં ને વિરહમાં રાખી, અમારું વિશેષ કલ્યાણ કર્યું છે. બીજા મુમુક્ષુઓ ગૃહસ્થ હોવાથી મુંબઈ વગેરે સ્થળે પરમકૃપાળુદેવ બિરાજતા હોય ત્યાં જાય અને તેઓશ્રીનાં દર્શન-સમાગમનો લાભ વધારે પામે; અને પોતે (પ્રભુશ્રીજી) મુનિવરો હોવાથી વિહાર કરીને મુંબઈ ક્યારે જાય ? કોઈ વખત આ તરફ પધારે ત્યારે કોઈ સ્ટેશને ગાડીમાં દર્શન થાય કે વિશેષ સ્થિરતા કોઇ સ્થળે હોય તો દર્શન, સમાગમ, બોધનો લાભ વધારે મળે, પણ તે ક્વચિત્ જ. પરંતુ તેમની ભાવના નિરંતર અહોરાત્ર જાગ્રત રહેતી હોવાથી, બધા મુમુક્ષુઓ કરતાં વિશેષ પ્રેમ, તન્મયતા અને ઝૂરણા રહેવાથી, ફળ વહેલું અને સંપૂર્ણ પાક્યું. માટે જેમ અંતરની ભાવના આત્મકલ્યાણ કરવાની વિશેષ-વિશેષ બળવાન બને, અને તેની જાગૃતિ, પ્રમાદ આડે મંદ ન થતાં, પ્રજ્વલિત રહ્યા કરે તેવી લાગણી, દાઝ વધારવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૪૫૩, આંક ૪૭૩). T સત્સંગ ન થાય તો કુસંગ તો ન જ કરવો. મોટા-મોટા ભલભલા બુદ્ધિશાળીઓ ભૂલી જાય છે. સત્સંગના અભાવે કુસંગમાં જાય તો કરવાનું છે, તે પડ્યું રહે છે. ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પ્રશ્ન કર્યો છે કે સત્સંગનો યોગ ન હોય તે વખતે કોઈ શાસ્ત્ર અમારી પાસે હોય, તે કોઈ અન્યમતી બ્રાહ્મણ પાસે વંચાવી સાંભળીએ તો કંઈ વાંધો છે? તેનો ઉત્તર આપ્યો છે કે એમ કરવાથી નુકસાન થાય છે, કારણ કે બ્રાહ્મણ વાંચે તેને એની શ્રદ્ધા નથી, તેથી પોતાનું પણ ભેગું ભેળવે. તે કરતાં ઘેર બેઠાં-બેઠાં માળા ફેરવવી સારી છે. કુસંગમાં જવાથી આડાઅવળી બીજું અંદર પેસી જાય. થોડું હોય, પણ સાચું હોય તે કામનું છે. સો મણ રૂના ઢગલામાં “અગ્નિ” “અગ્નિ' લખી સો કાગળ નાખે તોય કંઈ બળે ? અને એક દીવાસળી સળગાવી નાખી હોય તો બધું રૂ બળી જાય. (બો-૧, પૃ. ૨૭૯, આંક ૧૮) T સામાન્ય કહેવત છે કે “સોનું લઈએ કસીને અને માણસ ઓળખીએ વસીને એટલે સત્સંગ સમાગમથી મહાપુરુષો દ્વારા આપણને જે લાભ મળે છે તેનો લાભ શાસ્ત્રોથી, પ્રશ્નોના ઉત્તરો કે ચર્ચાઓથી મળવો મુશ્કેલ છે. (બો-૩, પૃ.૬૨, આંક ૫૧) T સત્સંગના પ્રતાપે કલ્યાણ કરવાના જીવને ભાવ થાય છે; વ્રતનિયમ પાળવાનું બળ મળે છે અને ચેતે તો આત્મહિત કરવાનો દાવ આવ્યો છે, તે સાધી શકે છે. સત્સંગના વિયોગે જો જીવ કાળજી ન રાખે તો મંદ પરિણામ થવા સંભવ છે; પણ તેવા પ્રસંગમાં જો ફરી સત્સંગનો યોગ થાય તો વ્રત પરિણામ, આત્મદાઝ નવપલ્લવિત, પ્રફુલ્લિત થાય છે. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૭) T બધા ભાઈઓ એક સ્થળે રહો છો તે સત્સંગનું નિમિત્ત જાણી, બીજાં કામમાંથી એકાદ કલાક બચાવી, કંઈ વાંચવા-વિચારવાનું રાખો તો હિતકર છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy