________________
જાતિનિયમનો બીજો દાખલો છે – તામ્રપર્ણી નદીમાં માત્ર મોતી થાય છે એવું વર્ણન કરવું. આનું ઉદાહરણ ‘વિવેક’ના શ્લોક(૮૮)માં મળે છે. અહીં કવિ કહે છે કે ‘જગતમાં મોટી મોટી નદીઓ ભલે હોય, અને તેમાં શ્રેષ્ઠ, મધુર જલ તથા પુષ્કળ છીપો પણ ભલે હોય. પણ તામ્રપર્ણી નદી સિવાય બીજી કોઈ નદી મોતીઓને માટે કામધેનુરૂપ નથી.’ આમ, એક તામ્રવર્ણી નદીમાં જ મોતીની ઉત્પત્તિ થાય છે એવું વર્ણન અહીં છે તે જાતિનિયમરૂપ કવિસમય મુજબ છે.
દ્રવ્યનિયમના બે દાખલા-મલય પર્વત પર જ ચંદનવૃક્ષ થાય છે, અને, હિમાલયમાં જ ભૂર્જવૃક્ષ થાય છે—નાં ઉદાહરણો શ્લોક(૮૯) તથા શ્લોક(૯૦)માં આપ્યાં છે. શ્લોક-૮૯ માં કવિ કહે છે કે ‘‘માનવીના તાપ-સંતાપ દૂર કરવામાં પ્રવીણ, નાગોનું નિવાસ્થાન તથા દેવોનું પ્રિય, ચંદનવૃક્ષ, મલયાચલ સિવાય બીજે ક્યાંય દેખાતું નથી.” શ્લોક(૯૦)માં કુમારસંભવનો શ્લોક(૧.૭) રજૂ કરીને, ‘હિમાલયમાં, હાથીના શરીર પરનાં લાલ ટપકાં જેવા રંગવાળાં ભૂર્જપત્ર વિદ્યાધરસુંદરીઓને પ્રેમપત્ર લખવામાં ઉપયોગી બને છે’ એ કવિવર્ણન અનુસાર ભૂર્જવૃક્ષ હિમાલયમાં જ થાય છે એવો કવિસમય દૃઢાવ્યો છે.
·
ગુણનિયમના ત્રણ દાખલા – સામાન્યતઃ રત્નો લાલ જ હોય; પુષ્પો સફેદ જ હોય; મેઘ કાળો જ હોય – નાં શ્લોક ૯૧, હૅર, ૯૩માં ઉદાહરણો પ્રસ્તુત થયાં છે. રત્નો લાલ જ હોય (રાજશેખરે ‘માણિક્ય લાલ હોય' એમ કહ્યું છે) એ કવિસમય મુજબ શ્લોક(૯૧)માં ‘વ્યાપારીઓએ ઢગલાબંધ રત્નો લાવીને સમુદ્રકિનારાની શ્યામ વનરાજિમાં એકત્ર મૂક્યાં છે તે (શ્યામ) મેઘોની વચ્ચે ઊગેલા(લાલ) સૂર્ય-બિંબની શંકા પેદા કરે છે' એવું વર્ણન કરી રત્નો લાલ જ હોય એવા કવિસમયની પુષ્ટિ કરી છે. પુષ્પો સફેદ જ હોય, એવું વર્ણન કુમારસંભવ(૧.૪૪)નો શ્લોક(૯૨) ટાંકી પ્રસ્તુત કર્યું છે. અહીં પાર્વતીના સ્વચ્છ અને શુભ્ર સ્મિતની જેની સાથે તુલના છે તે પુષ્પ કે ફૂલ સફેદરૂપમાં જ પ્રસ્તુત થયાં છે - જોકે ફૂલ રંગબેરંગી હોય છે જ.
ગુણનિયમ અંતર્ગત ‘મેઘો કાળા જ હોય છે’ એ દષ્ટાંતનું કાવ્યમય ઉદાહરણ શ્લોક(૯૩)માં રજૂ થયું છે ઃ ‘‘સ્વચ્છ સિંહાસનયુક્ત પુષ્પક વિમાન, મેઘ જેવા શ્યામ રામ મધ્યમાં બેસવાથી, એવું લાગતું હતું જાણે ઝળહળતાં રત્નોના ઢગલા વચ્ચે ઇન્દ્રનીલમણિનો મોટો ખંડ મૂકવામાં આવ્યો હોય.’’ આમ, મેઘની શ્યામતા અંગેનો નિયમ વર્ણવ્યો છે.
૬૧