SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવના પાપ માર્ગમાંથી પાછો વાળી સંવર નિર્જરાના માર્ગ ઉપર મૂકે છે, અને એમાંથી જ વીતરાગ અવસ્થાની પ્રાપ્તિનાં બીજો વવાઈ જાય છે. તાત્પર્ય એ કે પાપ-દોષોથી પાછા હઠવાની જે ક્રિયા તે પ્રતિક્રમણ. અહીં એ પ્રશ્ન થાય કે સ્વસ્થાન અને પરસ્થાન એટલે શું? સ્વસ્થાન—જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્માના પોતાના ગુણો છે. જે મૂલમાર્ગરૂપ છે એમાં સ્થિરતા, એમાં ત્રિવિધ યોગે ત્રિકરણ ભાવે રમણતા, એમાં જ તન્મય રહેવું એ જીવનું સ્વસ્થાન કહેવાય અને જ્યાં સુધી એ અવસ્થામાં ટકી રહે તો સમજવું કે જીવ પોતાના ઘરમાં છે. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે નિરવઘ પ્રવૃત્તિ કે શુભયોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે સ્વભાવદશામાં રહેવું તે સ્વસ્થાન છે. પરસ્થાન—સ્વસ્થાનથી પ્રતિપક્ષી બાબતોમાં રમણતા તે, અર્થાત્ હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, કષાયો કે ઇન્દ્રિયોની વાસનાઓ વગેરેને આધીન બનવું તે. ટૂંકમાં કહેવું હોય તો અઢાર પાપસ્થાનકોનું સેવન તે (આત્મા માટે) પરસ્થાન કહેવાય. આરંભ-સમારંભના સાવધ માર્ગમાં પ્રવૃત્તિ, સાંસારિક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ યોગે જોડાણ, અશુભ યોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે વિરાધક કે પરભાવદશામાં રમણતા. આત્મા જો પાપો કરવાં, કરાવવાં કે અનુમોદવામાં જ ઓતપ્રોત થયો હોય તો સમજવું કે આત્મા પરસ્થાનમાં દોડી ગયો છે કે આડે અવળે રસ્તે પહોંચી ગયો છે. આ અને આના જેવા બીજાં પરસ્થાનો એ જ પરભાવ (ભૌતિકભાવ) રમણતાનાં સ્થાનો છે. આ સ્થાનો સ્વભાવસ્થાનો એટલે કે આત્માનાં પોતાનાં રમણ સ્થાનો નથી. પ્રમાદ એટલે શું? પ્રમાદનાં કારણે પરસ્થાનમાં જીવ દોડી જાય છે તો ‘પ્રમાદ’ એટલે શું? પોતાના-આત્માના મૂલભૂત ધ્યેય તરફનું દુર્લક્ષ્ય-ઉપેક્ષા, આથી તેને પ્રમાદ કહેવાય. જીવ કે આત્માનું પોતાનું લક્ષ્ય જોવું, જાણવું અને નિજ ગુણમાં રમવું એ છે. તે લક્ષ્ય પ્રત્યેનું અલક્ષ્યપણું તે જ પ્રમાદ, અને આને લીધે આત્મા મિથ્યાત્વાદિ પાપો તરફ ઢળતો રહે, વિષય-કષાયને આધીન બને, મોહ, માયા, મમતા, આસક્તિ ભાવમાં રમમાણ રહે, જડ કે જડ પદાર્થ પ્રત્યેની જાળમાં ફસાએલો રહે અને પરંપરાએ આત્મા મલીન બન્યો રહે. તાત્પર્ય એ કે પાપથી પાછા હઠવું, વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવું, પરઘરમાંથી સ્વઘરમાં આવવું, અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું, સ્થિર થવું, પાપનો પશ્ચાત્તાપ અને ૧. ૧૮ પાપસ્થાનકોનાં નામ-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દોષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપવર્ધક સ્થાનો છે. ***** [ 331 ] ******
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy