SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતવિચારરાસ – સંશોધન અને સમીક્ષા એટલે તત્વજ્ઞાન અને કવિતાનો સમન્વય - ડૉ. કલા શાહ જૈન સાહિત્ય એટલે જ્ઞાનનો અગાધ અને ગહન સાગર. જ્ઞાનપિપાસુઓ મરજીવા બનીને આ જ્ઞાનસાગરમાં ડુબકી મારી અનેક અમૂલ્ય મોતીની શોધ કરે છે. વર્તમાન સમયમાં આ સંસાર સાગરમાં ગળાડૂબ રહેલ અનેક ગૃહિણીઓ સંસારમાંથી પોતાની જાતને મુક્ત કરી પેલા અગાધ જ્ઞાનસાગરમાં સહેલ કરવા નીકળી પડે છે. આવી બે ગૃહિણીઓ મારી પાસે આવી અને પી.એચ.ડી.ની પદવી મેળવવા માટે મારા માર્ગદર્શનમાં સંશોધન કાર્ય કરવાની ઈચ્છા દર્શાવી. એમાં એકનું નામ પાર્વતીબહેન ખીરાણી અને બીજા બહેનનું નામ રતનબહેન છાડવા. આ સંસારમાં ભાગ્યે જ જોવા મળે તેવી આ નણંદ-ભોજાઈની જોડી અદ્વિતીય છે. બંનેએ એક સાથે સંશોધન કાર્ય કરવાનો પ્રારંભ કર્યો. બંનેમાં કદી પણ હરિફાઈનો ભાવ નહિ, પણ એકબીજાને સહાયરૂપ થવાની ભાવના હતી. આ જોડીમાંથી આજે ડૉ. રતનબહેન છોડવાનો સંશોધન ગ્રંથ વ્રતવિચાર રાસ' એક અધ્યયન પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે. તે બદલ ડૉ. રતનબહેનને મારા અઢળક આશીર્વાદ અને અનેકાનેક શુભેચ્છાઓ. મધ્યકાલીન જૈન સાહિત્યરૂપ હસ્તપ્રત રૂપે ભારતભરના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે. જૈન સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ આકાર લઈ રહી છે. જ્ઞાનસત્રો, જૈન સાહિત્ય સમારોહો, પરિસંવાદો, જૈન સેન્ટરો વગેરે અનેક વિદ્વાનો આ દિશામાં કાર્યરત છે. હસ્તપ્રતોના સંશોધનની પણ એક નવી દિશા ઊઘડી છે. આ દિશામાં ડૉ. રતનબહેને ડગલું ભર્યું. અપ્રગટ હસ્તપ્રતનું સંશોધન – સંપાદન કરી મુંબઈ યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. જૈન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિપુલ સાહિત્યના સર્જક શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'ની હસ્તપ્રત મેળવી, તેનું લિપિકરણ કરી રાસકૃતિ તરીકે મૂલ્યાંકન કરવાનું કાર્ય હાથ ધર્યું અને બે વર્ષના સમયમાં સુપેરે પાર પાડ્યું. કવિ ઋષભદાસે પોતાના જીવનકાળ દરમ્યાન જે વિપુલ સાહિત્ય સર્જન કર્યું તેમાં ૩૪ રાસાઓ, સ્તવનો, ચૈત્યવંદનો વગેરે નોંધપાત્ર છે. કવિ ઋષભદાસ ધર્મપ્રિય, ધર્માનુરાગી, ગર્ભશ્રીમંત શ્રાવક • હતા. તેમણે તાત્ત્વિક તથા કથાત્મક બંને પ્રકારના રાસાઓની રચના કરી છે. તેમના રાસાઓ સરળ, ગેય અને ધર્મભાવના દ્વારા રસિત હોવાથી તે લોકભોગ્ય બન્યા છે. ડૉ. રતનબહેને “વ્રતવિચાર રાસ' જેવી દીર્ઘકૃતિ પસંદ કરી તેનું સંશોધન સંપાદન કર્યું. તેમાં તેમની મધ્યકાલીન સાહિત્ય પ્રત્યેની રુચિ અને સાથે સાથે હસ્તપ્રતનું લિપિકરણ કરવા જેવું બહુ પરિશ્રમ માંગી લે તેવું કાર્ય હાથ ધર્યું તે એક સાચા સંશોધકની પ્રતીતિ કરાવે છે. લગભગ છસો પાનાના આ મહાનિબંધમાં ડૉ. રતનબહેને જૈન સાહિત્યની ભૂમિકામાં તે સમયના લોકપ્રિય અને લોકભોગ્ય રાસા સાહિત્યના સ્વરૂપ અને વિકાસનું આલેખન અવલોકન કર્યું છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy