SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ પણ કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડયા. સુધા-તૃષાથી પીડાયેલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા. અને ભોજનની તૈયારી કરવા લાગ્યા. એટલામાં જેનો ભવ થોડો બાકી રહ્યો છે એવા કોઈ જિનકલ્પી મુનિરાજ તેમની પાસે ભિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા. રાજકુમાર સ્વભાવે ભદ્રક હોવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભોગફળ કર્મ ઉપામ્યું. મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રોને આનંદ થયો. તેમણે મન-વચન-કાયાથી દાનને અનુમોદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રોએ સરખું પુણ્યઉપાર્જન કરવું ઉચિત છે. "સર્વ આપો. એવો યોગ ફરીવાર અમને કયાંથી મળવાનો?" આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પોતાની અધિકશ્રદ્ધા જણાવવાને સારું કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રનો સ્વભાવ તુચ્છ હતો. તેથી દાનને વખતે બોલ્યો કે, "હે કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારા સારું કાંઈક રાખો.ખોટી બુદ્ધિથી ક્ષત્રિયપુત્રે ફોગટ દાનમાં અંતરાય કરીને ભોગાંતરાય કર્મ બાંધ્યું. પછી રાજાએ બોલાવ્યાથી તે પોતપોતાને સ્થાનકે ગયા. અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠીપુત્રને શ્રેષ્ઠિપદ, મંત્રિપુત્રને મંત્રિપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટોનું અગ્રેસરપણું મળ્યું. અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભોગવી મરણ પામ્યા. સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસારકુમાર રત્નસારકુમાર થયો. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર રત્નસારની સ્ત્રીઓ થઈ. કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિપુત્ર પોપટ થયો, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યચપણું મળે છે. પોપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છોડાવેલો ચોર તાપસ વ્રત પાળી રત્નસારને સહાય કરનારો ચંદ્રચૂડ દેવતા થયો.” રાજા આદિ લોકો મુનિરાજનાં એવાં વચન સાંભળી પાત્રદાનને વિષે ઘણા આદરવંત થયા અને સમ્યફ પ્રકારે જૈનધર્મ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્ત્વનું જ્ઞાન થાય ત્યારે કોણ આળસ કરે ? સપુરુષોનો સ્વભાવ સૂર્ય સરખો જગતમાં શોભે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરી લોકોને સન્માર્ગે લગાડે છે, તેમ પુરુષો પણ અંધકાર દૂર કરી લોકોને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસારકુમારે પોતાની બે સ્ત્રીઓની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભોગ ભોગવ્યા. પોતાના ભાગ્યથી જ ધન જોઈએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાર્થને જ માંહોમાંહે બાધા ન આવે તેવી રીતે સમ્યફ પ્રકારે સાવ્યા. કુમારે રથયાત્રાઓ, તીર્થયાત્રાઓ, અરિહંતની રૂપાની, સોનાની તથા રત્નની પ્રતિમાઓ, તેમની પ્રતિષ્ઠાઓ, જિનમંદિરો, ચતુર્વિધ સંઘનું વાત્સલ્ય, બીજા દીનજનો ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યો ચિરકાળ સુધી કર્યા. એવાં કૃત્યો કરવાં એ જ લક્ષ્મીનું ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ઠ થઈ. પુરુષોની સાથે સહવાસ કરવાથી શું ન થાય? પછી રત્નસારકુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિતમરણવડે દેહ છોડી અશ્રુત દેવલોકે ગયો. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy