SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૬ યોગાષ્ટક - ૨૭ જ્ઞાનસાર કરવું તે અહીં યોગ તરીકે જાણવું. કારણ કે આવી યોગદશા જ સંવર-નિર્જરાસ્વરૂપ હોવાથી મુક્તિનું કારણ બને છે. આત્માનો અને મુક્તિનો સંયોગ કરાવે છે. માટે આવા આત્મતત્ત્વના સાધક અને શુદ્ધ એવા આત્મપરિણમનને યોગ કહેવાય છે તે ઉપાદેય છે. “આ યોગ ઉપર” નામાદિ ચાર નિક્ષેપા અને નૈગમાદિ સાત નયો કોઈ અગમ્ય કારણસર ટીકાકારશ્રીએ લખ્યા નથી, છતાં દ્રવ્ય-ભાવના બે ભેદ રૂપે યોગ લખ્યો છે તેનાથી નિક્ષેપા તો હજુ ગર્ભિત રીતે સમજાઈ જાય છે, પરંતુ તેઓશ્રીએ નયોનો સ્પર્શ કર્યો નથી એમ લાગે છે. પછી કદાચ લહીઆઓથી લખાણકાલે છુટી ગયું હોય એમ પણ કદાચ બને છતાં આ વિષયક તત્ત્વ કેવલિગમ્ય જાણવું. ચાર નિક્ષેપા આ પ્રમાણે છે. કોઈનું “યોગ” એવું નામ પાડવું તે નામયોગ, હાલ વર્તમાનકાલમાં યોગેશ-ભાવેશ યોગિની ઈત્યાદિ નામો હોય છે તે નામમાત્રથી યોગ જાણવો. જેનામાં યોગદશા ખીલેલી છે વિકસેલી છે તેવા યોગીનું ચિત્ર દોરવું તે સ્થાપનાયોગ કહેવાય છે. સાધુનાં પાંચ મહાવ્રત ધારણ કરવાં, સાવધયોગનો ત્યાગ કરવો, પંચાચારાદિ આચારોનું અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું અથવા શ્રાવકનાં બાર વ્રતો ઉચ્ચરવાં એમ બાહ્યથી આચારોની જે વિશુદ્ધિ-નિર્મળતા, સદાચારી જીવન તે દ્રવ્યયોગ જાણવો અને ક્રોધાદિ કષાયોનો, મિથ્યાત્વદશાનો અને હાસ્યાદિ નોકષાયોનો ત્યાગ કરવાપૂર્વક અભ્યન્તર આચારોની જે શુદ્ધિ મેળવવી તે ભાવયોગ જાણવો. સારાંશ કે વિભાવદશાનો બાહ્યથી ત્યાગ તે દ્રવ્યયોગ અને વિભાવદશાનો અંદરના પરિણામથી ત્યાગ તે ભાવયોગ, અર્થાત્ વિષયોનો ત્યાગ તે દ્રવ્યયોગ અને કષાયોનો ત્યાગ તે ભાવયોગ આમ ચાર નિક્ષેપો જાણવા. હવે સાતનયો આ પ્રમાણે છે. (૧) નૈગમનય - મોક્ષ સાધનાના કારણભૂત મન-વચન અને કાયા જેમાંથી બન્યાં છે એ મનોવર્ગણા-ભાષાવર્ગણા અને ઔદારિકાદિ વર્ગણાનાં પુદ્ગલો એ યોગ છે. (૨) સંગ્રહનય - મોક્ષની સાધનાના કારણભૂત મન-વચન અને કાયા એ યોગ છે. (૩) વ્યવહારનય - મોક્ષની સાધનામાં મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે તે યોગ છે. (૪) ઋજુસૂત્રનય - મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થયેલ મન-વચન અને કાયા સાથે તાદાત્મ્ય બનેલ આત્મપરિણામ એ યોગ છે. (૫) શબ્દનય - ક્ષપકશ્રેણિમાં પરિણત આત્મા એ યોગ છે. (૬) સમભિરૂઢ - યોગનિરોધમાં પરિણત આત્મા એ યોગ છે. (૭) એવંભૂતનય - સિદ્ધિગમનની બરાબર પૂર્વકાલવર્તી શૈલેશીકરણ સ્વરૂપે જે આત્મપરિણમન તે યોગ છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy