SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ છાયા ૭૧૫ નથી. આત્મા અહંતપદ વિચારે તો અર્હત થાય. સિદ્ધપદ વિચારે તો સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તો આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તો ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તો આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહીં. આપણે તો એ વિચારવાની જરૂર છે કે “હું એક છું.’ જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકનો વિચાર ઘણી આઘી દશાએ પહોંચ્યા પછી વિચારવાનો છે. જગત ને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે: નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવો, આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો છે. મિથ્યાત્વ, પ્રમાદ, અવ્રત, અશુભયોગ, એ અનુક્રમે જાય તો સત્પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે તેથી બધા દોષો અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. સત્પુરુષ તો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવ લોકમાર્ગે પડ્યો છે, ને તેને લોકોત્તરમાર્ગ માને છે. આથી કરી કેમેય દોષ જતા નથી. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂક્યા વગર સભ્યમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. બ્રહ્મચર્ય વિષે:- પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. ‘હું’ મરવાનો નથી; તો મરણનો ભય શો ? જેને દેહની મૂર્છા ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન:- જીવે કેમ વર્તવું ? સમાધાનઃ- સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ પણ સત્સંગનો સદા યોગ નથી મળતો. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહી; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે; તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તો ઉપકારી છે, નહીં તો પુણ્યયોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થ નિશ્ચય કરી સેવે છે. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કોઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ લોકોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યાં. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું, માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે નહીં તો પોતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પોતાને તો સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. હાલ જૈનમાં ઘણો વખત થયાં અવાવરુ કૂવાની માફક આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાનીપુરુષ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy