SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ અગિયાર પ્રકીર્ણ સ્થાપત્ય લલિતકળાનાં ત્રણ પ્રકરણમાં જેનો સમાવેશ થયો નથી અને સ્થાપત્ય-શિલ્પની દૃષ્ટિએ જે મહત્ત્વનાં નથી છતાં એનો નિર્દેશ જરૂરી હોઈ અહીં તે વિશે કેટલીક માહિતી પ્રસ્તુત કરી છે. સુરાષ્ટ્ર વિસ્તારની કેટલીક ગુફા પ્રભાસ-પાટણમાં કેટલીક પૂર્વકાળની ગુફાઓ આવેલી છે. પાટણ-વેરાવળ તાલુકાના સવની ગામે “મંદોરની ગુફાઓથી ઓળખાતી ગુફાઓ સ્થિત છે. વિસાવદર તાલુકાના જેતલવડ મુકામેથી “પેથલની ગુફાઓ હાથ લાગી છે. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી નામના ઐતિહાસિક સ્થળ પાસે “રાણપુર અને ભવનેશ્વરની ગુફાઓ' હોવાની માહિતી છે. તો રાજકોટ જિલ્લાના હિંગોળગઢ નજીકથી “ભોંયરાની ગુફા'થી ઓળખાતી ગુફા આવેલી છે. જો કે આ બધા ગુફાસમૂહોમાં કોઈ ખાસ નોંધપાત્ર વિશેષતા જોવા મળતી નથી. આ ઉપરાંત રાણાવાવ, રાજુલા જેવાં ઘણાં સ્થળે પ્રાકૃતિક ભોંયરા પ્રકારની, કુદરતકૃત, કેટલીક ગુફાઓ છે જે હકીકતે ભૂમિના પેટાળનાં કોતરો જ છે. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ હમણાં સુધી એવી માન્યતા પ્રચારમાં રહેલી કે ગુજરાતના કચ્છ પ્રદેશમાં સ્થાપત્યકીય સ્મારક અવશિષ્ટ રહ્યાં નથી; સાતમા દાયકાના ઉત્તરાર્ધમાં કે.કા.શાસ્ત્રીને કચ્છ વિસ્તારમાંથી કેટલીક ગુફાઓ હાથ લાગી હતી. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે અને કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાનાં મંદિરના પશ્ચિમ બાજુના પહાડમાં પ્રાયઃ ઈસ્વીની ત્રીજી શતાબ્દીના સમયનાં શેલોત્કીર્ણ ગુફાસ્થાપત્ય આવેલાં છે; જે ખાપરા-કોડિયાથી વિશેષ ઓળખાય છે. અહીં નોંધવું રહ્યું કે જૂનાગઢમાં આ નામથી ઓળખાતી લગભગ આ સમયની ગુફાઓ વિશેષ ખ્યાત છે. અહીં બે ગુફા હોવાનું દર્શાવાયું છે; જેમાંની પૂર્વ બાજુની ઓસરીઘાટની ગુફા અને પશ્ચિમ તરફની ગુફા આગળનો ઓસરી જેવા ભાગ નાશ પામ્યો છે. અવશિષ્ટ ભાગનાં નિરીક્ષણથી આશરે ૨.૪૨ X ૨.૪૨ મીટરના માપનો ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપર અસ્પષ્ટ ભાતવાળું કોતરકામની માહિતી મળે છે. ૩ X ૨.૪૨ મીટરના કદનો બીજો ખંડ અને ૪.૮૧ X ૨.૪૨ મીટરની પડસાળ તથા આશરે ૨.૪૨ મીટરના ઘેરાવાવાળા બે સ્તંભ નોંધપાત્ર છે. કચ્છમાં બૌદ્ધ ધર્મ પ્રચારમાં હોઈ તે સમયે કંડારાયેલી આ ગુફાઓના નિર્દિષ્ટ બંને સ્તંભના શિરોભાગની હાંસ બૌદ્ધ-સ્તંભના ઘાટની હોવાથી એ ગુફાઓ બૌદ્ધ હોવાનું મંતવ્ય પ્રગટ થયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy