SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ક્ષસપકાલીન ગુજરાત લંબગોળ હતા. પરંતુ ક્ષત્રપકાલની પથ્થરની વસ્તુઓમાં ઘંટીના અવશેષ ધ્યાનાર્ય ગણાય છે. ઘંટીના ઉપરના પડ ઉપર ઊભા ખીલાને સ્થાને આડો ખીલો ઘંટીના ફેરવવા વાસ્તે મૂક્વામાં આવતો. શામળાજી, વલભી, ગોપ, નગરા જેવા સ્થળોએ ઘંટીના નમૂના મળ્યા છે. આ સમય દરમ્યાન પથ્થરોની વસ્તુઓ મુખ્યત્વે ઘડીને તૈયાર કરવામાં આવતી. પણ ક્યારેક ડબ્બા જેવી વસ્તુ સરાણ ઉપર મૂકીને સુંવાળી બનાવાતી. દેવની મોરીમાંથી પ્રાપ્ત પાષાણમાંથી નિર્માણ થયેલો દાબડો આ પ્રકારનો છે. અકોટામાંથી મળેલું ઢાંકણ પણ આ જ પ્રકારે તૈયાર થયેલું જણાય છે. પથ્થરોમાંથી મણકા પણ આ કાળમાં તૈયાર થતા હતા. એના દાણા ગોળ અને રાયણના ફળના ઘાટના બંને બાજુએ કિનારવાળા હતા. પથ્થરનો ઉપયોગ ફર્શબંદી માટેય થતો. ઉપરાંત પથ્થરની મુદ્રાઓના નમૂના વલભી અને દેવની મોરી જેવાં સ્થળોએથી મળ્યા છે. રક્ષણાત્મક પાળ પથ્થરમાંથી બાંધવામાં આવતી. આમ, પથ્થરનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થતો દેખાય છે. ઉપસંહાર ક્ષત્રપકાલનાં ગામો અને નગરોમાંથી ઉપલબ્ધ થયેલી અને થતી રહેતી નાનીમોટી વસ્તુઓનાં અધ્યયનથી એવું સૂચવાય છે કે આ સમયના ગુજરાતની સમૃદ્ધિ નોંધપાત્ર હતી. માટી, વિવિધ ધાતુ, શંખ-છિપોલી, હાડકાં, હાથીદાંત તેમ જ પથ્થરના વિવિધ આકાર-પ્રકારના પદાર્થના સંખ્યાબંધ પુરાવા પ્રાપ્ત થયા છે. કાંસું, ચાંદી, પથ્થરની વસ્તુઓ, માટીની કોઠી જેવી સામગ્રી રોમીય સામ્રાજયના પ્રદેશોમાંથી આયાત થતી હતી. પારેવો, સીસું અને અન્ય પદાર્થ રાજસ્થાનમાંથી આવતા. વૈડૂર્ય જેવા પથ્થર મધ્ય એશિયાના વિસ્તારોમાંથી આવતા. આયાત થતો માલ ભરૂચ, કામરેજ, વરિયાવ, ચોર્યાસી, વલભી, સોમનાથ, દ્વારકા ઇત્યાદિ બંદરે ઉતરતો અને ત્યાંથી દેશના અન્ય ભૂભાગમાં પહોંચતો. આ સમયનાં ગામોનું કદ આશરે ચાર ચોરસ કિલોમીટરથી ઓછું રહેતું. અકોટા એક કિલોમીટર લાંબું અને અડધો કિલોમીટર પહોળું હશે. કામરેજ બે કિલોમીટર લાંબું અને અડધો કિલોમીટર પહોળું હશે. વલભીની લંબાઈ પણ બે કિલોમીટરથી ઓછી છે. ટીંબરવા, ધાતવા, જોખા ઘણાં નાનાં ગામ હતાં. આ ગામોમાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, હરણ, ઊંટ, નીલગાય, ઉંદર, નોળિયા, કૂતરા, મરઘાં, ચિત્તા, ઘોડા, ગધેડા, માછલાં અને કાચબા જેવાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતાં હતાં. આ પ્રાણીઓનાં હાડકાં ગામમાંથી હાથ લાગ્યાં હોઈ ગામોની આસપાસ ઘાસનાં મેદાન હોવાં જોઈએ. અર્થાત્ આ કાલનાં ગામોની ચોપાસ ખેતરો, એનાથી દૂર ચરાણની જગ્યા અને એનાથી દૂર જંગલ વિસ્તારના અસ્તિત્વની અટકળ થઈ શકે. આમ, પુરાવસ્તુઓની ઉપલબ્ધિનાં અવલોકનથી સૂચવાય છે કે આ કાલની પ્રજા ખેતી ઉપર તો નિર્ભર હતી પણ વેપાર તેમ જ ઉદ્યોગ સાથે સંલગ્નિત હતી. આ સમયની પ્રજા નાનાં નગરો અને ગામોમાં જીવન ગુજારતી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy