SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ પણ વખત જતાં એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠાનાં ફળો ચાખવાની અને ભોગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઈ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણ શસ્ત્રસેવા દ્વારા જાગેલ પ્રતિષ્ઠાનાં ફળો આસ્વાદવાની ક્ષુદ્ર વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા એમાં તામસપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયો અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રજીવી બની ગયો; એટલે કે, બંનેનું મુખ્ય ધ્યેય રક્ષણ ·મટી આજીવિકા પૂરતું થઈ ગયું. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પોતાની ભોગવાસના તૃપ્ત કરવી – એવી વૃત્તિ જન્મતાં જ શાસ્ત્રજીવી બ્રાહ્મણવર્ગમાં તડાં પડવાં, તેઓ એકબીજાની અદેખાઈ કરવા લાગ્યા. ભક્તો, અનુયાયીઓ અને શિષ્યો, જેમને અજ્ઞાન અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સોંપાયેલું હતું. તેઓને તે રીતે બચાવવાને બદલે પેલો શાસ્ત્રજીવી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણ અને ભોળા વર્ગની સેવાશક્તિનો બને તેટલો પોતાના લાભમાં વધારેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઈમાં પડ્યો; એટલે શિકારીની પેઠે એક શાસ્ત્રજીવી પોતાની શાસ્ત્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓ બાંધી રાખવા બીજા શાસ્ત્રજીવી સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઊતરવા લાગ્યો અને, આચાર્ય સિદ્ધસેન કહે છે તેમ, એક માંસના ટુકડા માટે લડનાર બે શ્વાનોમાં કયારેક મૈત્રી બંધાય પણ બે સગા ભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય તો તેઓમાં મૈત્રીનો કદી જ સંભવ નથી હોતો, એ સ્થિતિ સમાજમાં આવીને ઊભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિવર્ગ પણ શસ્ત્રજીવી થઈ ગયો હતો; એટલે તેમાં પણ ભોગવૈભવની હરીફાઈ અને કર્તવ્યસ્મૃતિ દાખલ થઈ હતી. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવર્ગનું પાલન કરવામાં પોતાની શક્તિ રોકવાને બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાંડોતૂર થયો. પરિણામે એક શસ્ત્રજીવી અને બીજા શસ્ત્રજીવી વચ્ચે, કોઈ અનાથ અગર નિર્બળની રક્ષાને કા૨ણે નહિ પણ અંગત દ્વેષ અને વેરને કારણે, યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે લાખો અને કરોડોની રક્ષા વાસ્તે તે વર્ગ સર્જાયો હતો અગર જેઓની રક્ષાને નિમિત્તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતું તે જ લાખો અને કરોડો લોકો હોમાયા છે. આ રીતે આપણા આર્યાવર્તનો ઇતિહાસ, શાસ્ત્ર અને શસ્ત્ર બંને દ્વારા વિશેષ કલુષિત થયો અને પોતાની પવિત્રતા અખંડિત રાખી ન શક્યો. એ જ સબબ છે કે આ દેશમાં લાખો નહિ પણ કરોડો શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિઓ હોવા છતાં અજ્ઞાન અને વિખવાદનો પાર નથી; એટલું જ નહિ પણ ઊલટું, એ વર્ગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પોષવામાં પણ નાનોસૂનો ભાગ નથી ભજવ્યો. શૂદ્ર અને સ્ત્રીવર્ગને તો જ્ઞાનના અનધિકારી ગણી તે વર્ષે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર Jain Education Infernational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy