SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ (2) આ જે કાંઈ છે તે ચૈતન્ય સિવાય બીજું કાંઈ જ નથી. ચૈતન્યમાં જડતા સંભવે નહિ. તેથી જેને આપણે જડ માનીએ છીએ, તે વાસ્તવમાં જડ નથી. પરંતુ ચૈતન્યનું જ સ્વરૂપ છે અથવા તો તે ચૈતન્યથી ભિન્ન હોય એવો આભાસ માત્ર જ છે. આ વિચારધારા કેવલ ચૈતન્યવાદી અર્થાત્ અંત વેદાન્તની છે. (3) જડ અને ચેતન એ બે નિતાન્ન ભિન્ન તત્ત્વો છે. તેથી એકના ગુણધર્મો બીજામાં કદી સંભવી શકે નહિ. તે બેમાંથી કોઈપણ એક જ સાચું તત્ત્વ છે, એમ માની શકાય નહિ. એ બન્નેનો સંયોગ થઈ શકે, પણ સમિશ્રણ નહિ. આ મત દ્વૈતવાદી વિચારધારાનો અને તેમાં પણ વિશેષતઃ સાંખ્યનો (4) જડ અને ચૈતન્ય બન્ને ભિન્ન ભલે રહ્યા. પરંતુ તે બન્ને સ્વતંત્ર નથી. એ બન્ને પર એક નિયામક તત્ત્વ છે, તે તત્ત્વ તે ઈશ્વર છે. આ મત ઉપરના બે અને ત્રણમાં દર્શાવેલ મતોનો સુધારા સાથે સ્વીકાર કરે છે. એક રીતે તો તે સેશ્વર સાંખ્ય જ છે. આ ચારેય વિધાનોમાં એક વાત સામાન્ય છે કે તત્ત્વો પરિણમન પામે છે અને તેમનું તત્ત્વાંતર કે રૂપાંતર થયા કરે છે. તેનાથી આ સૃષ્ટિચક્ર ચાલી રહ્યું છે. આ તત્ત્વાન્તર કોનું અને કઈ રીતે થાય છે, તે વિશે જ અભિગમભેદ છે. એમાં પણ આપણા સામાન્ય અનુભવમાં તો પ્રથમ નજરે જડ અને ચેતન એ બે તત્ત્વો આવતા જણાય છે. તેમજ જડ તત્ત્વો રૂપાંતર પામતા હોય, ઉત્પન્ન થતા હોય અને નાશ પામતા હોય એમ પણ જણાય છે. આ જાણનાર જડ તત્ત્વથી જુદો છે, એમ પણ સમજી શકાય છે અને જડ તત્ત્વ કોઈ રીતે ચેતનના પ્રભાવથી જ ગતિશીલ બની પરિણમન કરી શકે તેમ પણ લાગે છે. આમ હોઈ આવો મત પ્રતિપાદિત કરતું સાંખ્યદર્શન કેવળ સામાન્યજનને જ નહિ પણ અન્ય દાર્શનિક ચિંતકોને પણ એક કે બીજી રીતે, સંપૂર્ણપણે નહીં તો અંશતઃ સ્વીકારવા યોગ્ય લાગ્યું છે. એટલું જ નહીં પણ સૃષ્ટિની ઉત્પત્તિ અને વિકાસ માટે ભારતીય દર્શનમાં થએલી વિચારણામાં સાંખ્યદર્શન પ્રાચીનતમ છે એમ પણ મનાય છે. તેનો પાયાનો સિદ્ધાંત પરિણમનને લગતો છે તે સ્પષ્ટ છે અને એ સિદ્ધાંતના અંગે ન્યાયવૈશેષિક, બૌદ્ધ, જૈન અને વેદાન્ત દર્શનમાં પોતપોતાના પરિપ્રેક્ષ્ય પ્રમાણે જે વિચારણા થઈ તેણે ભારતીય દર્શનને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy