________________
બીજી આવૃત્તિનું નિવેદન
ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ.૧૯૬૭માં, ગુજરાતી સાહિત્યના બૃહદ ઇતિહાસની યોજના હાથ ધરી એ પછી ઈ.૧૯૭૩ થી ૧૯૮૧ સુધીમાં એના ચાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા, તે સમયના ક્રમે મધ્યકાળના આરંભ(આશરે ઈ.૧૧૫૦)થી ‘ઝવેરચંદ મેઘાણી' સુધી પહોંચાયું હતું. એના પ્રકાશનનાં ૨૦-૨૫ વર્ષો પછી આ ચારે ગ્રંથો અપ્રાપ્ય બન્યા છે – પહેલા બે ગ્રંથો તો વર્ષોથી અપ્રાપ્ય હતા. એટલે પરિષદ આ ચારે ગ્રંથોની બીજી આવૃત્તિઓ પ્રકાશિત કરવાનું વિચાર્યું અને એના શોધનસંપાદનની જવાબદારી મને તથા પરામર્શનની શ્રી ચિમનલાલ ત્રિવેદીને સોંપવામાં આવી.
કેવળ પુનર્મુદ્રણને બદલે નવી આવૃત્તિઓ કરવાના પરિષદના નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ચારે ગ્રંથોમાંની કેટલીક સામગ્રીની ફેરતપાસ જરૂરી બની હતી. ઈ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યકોશ'ની કામગીરી આરંભી હતી ને એમાં ઘણાબધા સંદર્ભોની તુલનાત્મક ચકાસણીને પરિણામે જે અધિકૃત વિગતો તારવવામાં આવી હતી એના પ્રકાશમાં સાહિત્યકોશપૂર્વે પ્રકાશિત થયેલી સાહિત્યના ઇતિહાસ, સંશોધન અને વિવેચનના ગ્રંથોમાંની કેટલીક સામગ્રી તથ્યોની દૃષ્ટિએ ફેરવિચાર ને સંમાર્જનને પાત્ર ઠરી હતી. કર્તાઓનાં નામોના, એક જ નામના એકાધિક કર્તાઓના ને એમના કર્તુત્વના; કર્તાઓના સમય-નિર્ધારણના; રચનાકારો રચયિતા) અને લેખનકારો લહિયા)નાં નામોની સંદિગ્ધતાના અને ભેળસેળના; કૃતિઓના રચના સમયના – કેટલાક પ્રશ્રો ઉપર તરી આવ્યા હતા. ઇતિહાસ-ગ્રંથોની આ નવી આવૃત્તિને, એ બધા સંદર્ભે, અદ્યતન(અપડેટેડ) કરવાનું વિચાર્યું છે. વિવિધ વિદ્વાનોના હાથે સમયાનુક્રમી પ્રકરણોરૂપે આ ઇતિહાસગ્રંથો તૈયાર થયા હોવાથી, શૈલીની ભલે નહીં પણ લેખનપદ્ધતિની શક્ય એટલી એકવાક્યતા ઊભી થાય તો એનું માળખું વધુ શાસ્ત્રીય ને એકરૂપ કરવાનું બની શકે, એ દષ્ટિકોણથી પણ સંમાર્જનો કરી લેવાનું રાખ્યું છે.
જુદે જુદે હાથે, સમયાનુક્રમી પ્રકરણોરૂપે, તૈયાર થતા સંકલિત-સંપાદિત ઇતિહાસ-લેખનના પ્રશ્નો રહેવાના. એટલે એમાં સંપાદકની કામગીરી, ને એનું