SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સરખું છતાં કેટલાક માણસો જ આલોકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નક્કી જાણવું. તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કે :- ૧ પોતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર-પુત્રી સંબંધી, ૬ સગાંવહાલાં સંબંધી, ૭ વડીલ લોકો સંબંધી, ૮ શહેરના રહીશ લોકો સંબંધી તથા ૯ અન્ય દર્શની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણસે કરવું જોઈએ. હવે પિતાના સંબંધમાં મન-વચન કાયાથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું જોઈએ તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે કે – પિતાનું ઉચિત. પિતાની શરીર-સેવા ચાકરની જેમ પોતે વિનયથી કરવી, તેમના પગ ધોવા તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશ અને કાળના અનુસારે તેમને સદે એવું ભોજન, બિછાનું, વસ્ત્રો ઉવટણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, કોઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાનો સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તો પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડ્યું ન પડ્યું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું એટલે પિતાનું વચન સત્ય કરવાને રાજ્યાભિષેકને અવસરે જ વનવાસે નીકળેલા રામચંદ્રજીની જેમ સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરૂં છું” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું. પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડવી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું. કેમકે પોતાની બુદ્ધિથી ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તો જ કરવું. તથા સેવાગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણો છે તેમનો અભ્યાસ કરવો. બુદ્ધિનો પહેલો ગુણ માબાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પોતાની બુદ્ધિથી જુદી જુદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરોડો તરૂણ લોકો પણ તે જાણી શકતા નથી. જુઓ રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. પોતાનો મનમાંનો અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવો.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy