SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજ રાજાની સભામાં લઈ ગયો ત્યારે ભોજ રાજાએ ડામરને પૂછ્યું કે ભીમને વેશ બદલી અહીં લાવીશ કે મને વેશ બદલીને ત્યાં લઇ જઇશ? હું ભીમનું રૂપ જોવાને ઘણો જ આતુર છું. એ વચન સાંભળી આસપાસ જોઇ, સમીપે ઉભો રહેલો પેલો હાથમાં છાબડીવાળો હતો તેના સામી આંગળી કરી કહ્યું “આ જ આકૃતિ, આ જ વર્ણ, આ જ રૂપ, આ જ ઉંમર, જાણે આજ સાક્ષાત્ છે પરંતુ આ ગરીબ ને તે રાજા. જેમ કાચને ચિંતામણી. આ પ્રકારે રહસ્યમય વચન સાંભળી ચતુર શિરોમણી ભોજરાજા અપલક નયને તેના સામે જોઇ મનમાં વિચાર કરે છે કે આવો સામુદ્રિક શાસ્ત્રના દરેક લક્ષણથી યુક્ત માણસ કાંઈ નીચા કુળનો હોય નહીં. માટે એ ભીમ તો નહીં હોય એવી મનમાં આશંકા કરે છે. એવામાં ભોજ રાજાની આંખની ઉપચેષ્ટા ઉપરથી તેના મનનો અભિપ્રાય ડામર જાણી ગયો તેથી તેને રાજાની આંખેથી દૂર કરવા ડામરે કહ્યું કે તમે રાજાને ભેટ કરવાને જે જે વસ્તુ કહેતા હતા તે લાવવાનો આ સારો વખત છે. આ સાંભળી પેલો છાબડીવાળો પુરુષ તત્કાળ અતિ શીઘ્રતાથી અદ્રશ્ય થઈ ગયો. આ વખતે ડામરે ભેટમાં આપવા લાવેલી વસ્તુઓના ગુણનું વર્ણન કરવામાં રાજાનો કેટલોક સમય બગાડ્યો; ત્યારે રાજા બોલ્યો કે પેલા છાબડીવાળાને કેમ વાર લાગી અને હજુ સુધી કેમ આવ્યો નહીં. આ પ્રકારનું વચન સાંભળી ડામરે હસીને કહ્યું કે હે રાજન્ ! એ જ ગુજરાતના મહારાજ ભીમદેવ હતા. આ અક્ષર સાંભળતાં જ અતિશય ચમત્કાર પામી તેને પકડવાને સૈન્ય, સાંઢણી વિગેરે ઘણું લશ્કર દોડાવવા માંડ્યું ત્યારે ડામરે કહ્યું કે હે મહારાજ આ મિથ્યા શ્રમ શું કરવા લો છો ? એક ઘડીમાં ચાર ગાઉ ચાલે એવી સાંઢણીઓ તથા અતિ વેગવાળા ઘોડા બાર બાર ગાઉને છેટે રાખેલા છે, તેના સહારે ઘણાં જ દૂર જતા રહેલાં ભીમદેવ તમારા હાથમાં આવે એમ નથી. આ વાત સાંભળી ભોજે હાથ ઘસ્યા. એક દિવસ ભોજ રાજા માઘ પંડિતની વિદ્વત્તા તથા દાનવીરતા સાંભળીને એને જોવાને નિરંતર ઇચ્છાતુર થઈ વારંવાર સંદેશા તથા માણસો મોકલી શ્રીમાલપુરથી શિયાળામાં લાવી ઘણા માનથી ભોજનાદિક સત્કાર કરી રાજાને શોભે એવા વિનોદ દેખાડતો હતો. રાત્રિએ પોતાના સમીપે પોતાના જેવા જ પલંગમાં સુવાડી પોતાને ઓઢવાની શાલ તેને આપીને પ્રિય વાર્તા કરતા કરતા સુખે રાત્રિ નિર્ગમન કરતા હતા. એક દિવસ પ્રાત:કાળે માંગલિક વાજીંત્રના શબ્દ સાંભળી જાગેલા રાજા પાસે માઘ પંડિતે પોતાના ઘેર જવાની આજ્ઞા માગી. તે સાંભળી આશ્ચર્ય પામી રાજા બોલ્યો કે આપની ભોજન આચ્છાદન વિગેરે સેવામાં કાંઈ ખામી પડી કે શું જેથી આપ આટલી બધી જવાની ઉતાવળ કરો છો ? ત્યારે પંડિતે કહ્યું કે મારાથી ટાઢ સહન થતી નથી; એમ કહી આગ્રહથી જવાની તૈયારી કરનાર માઘ પંડિતને જવાની આજ્ઞા આપીને નગરના મુખ્ય દ્વાર સુધી વળાવવા ગયો. માઘ પંડિત કહ્યું કે આપે મારે ઘેર જરૂર પધારવું. એમ કબુલ કરાવી પોતાને ઘેર આવ્યા. ત્યાર પછી કેટલાંક દિવસે ભોજ રાજા માઘ પંડિતનો વૈભવ જોવાની ઇચ્છાથી શ્રીમાળ નગરમાં ગયો. માઘ પંડિત ૮૨ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy