________________
સંકુચિત બની જાય છે. અહીં અંધકારને મુષ્ટિગ્રાહ્ય વર્ણવ્યો છે તે કવિસમયપરક વર્ણન છે. શ્લોક(૭૭)માં અંધકાર સોયથી ભેદાય છે તેવું વર્ણન છે – કેદખાનું ચોતરફથી બંધ હોવા છતાં, સોયની અણીથી વીંધી શકાય તેવો (ગાઢ) અંધકાર હોવા છતાં અને મારી આંખો મીંચેલી હોવા છતાં પણ પ્રિયાનું મુખ સ્પષ્ટ દેખાય છે. શ્લોક(૭૮)માં ચંદ્રની ચાંદનીને કુંભ અર્થાત્ ઘડામાં ભરીને લઈ જઈ શકાય છે એવો ઉલ્લેખ છે. રાજશેખરના વિદ્ધશાલભંજિકા (૩.૧૪)નો આ શ્લોક અતીવ હૃદ્ય છેઃ “જે ચાંદની પહેલાં શંખથી ચૂંટેલા કેવડાના મધ્યભાગના રસ જેવી તથા મોતીની માળા ગૂંથવાલાયક લાગતી હતી તે આજે, ચંદ્રમા પૂર્ણ ખીલવાથી, ઘડામાં ભરવાલાયક, અંજલિમાં ભરી લેવા યોગ્ય તથા કમળદંડના પોલાણવાળા કોમળ ભાગમાં પીવા જેવી લાગે છે.”
અસત્ના દ્રવ્યરૂપના વર્ણનની ચર્ચા પૂરી કર્યા બાદ, અસત્વના ગુણરૂપ અર્થના વર્ણનના જે દાખલા ગ્રંથકારે વૃત્તિમાં ગણાવ્યા છે તે યશ, હાસ્ય વગેરેનું શુક્લત્વ; અયશ, પાપ વગેરેનું કૃષ્ણત્વ, ક્રોધ, અનુરાગ વગેરેનું રક્તત્વ દર્શાવતા ઉદાહરણ શ્લોકો(૭૯-૮૪) વિવેકમાં રજૂ થયા છે. યશની શુક્લતા વર્ણવતા ઉદા. શ્લોક(૭૯)માં કવિ કહે છે કે, હે રાજન, તારો યશ પહેલાં પૃથ્વી પર ચારે દિશાઓમાં ફેલાયો,પણ દિશાઓની દીવાલો સાથે અફળાઈ એ જ્યારે વધારે પ્રમાણમાં એકત્રિત થઈ ગયો ત્યારે ક્ષીરસમુદ્રમાં પ્રવેશ્યો. સમુદ્રમાં પ્રવેશવા છતાં ન તો એનું શરીર ભીનું થયું, ન શ્વાસ રોકાયો કે ન આંખો બંધ થઈ. આ રીતે સમુદ્રને સફેદ(ધવલ) બનાવીને પણ જ્યારે, જગ્યાની સંકડાશને કારણે, એને માટે સમાવું મુશ્કેલ થઈ ગયું ત્યારે તે યશ-(કીર્તિ) આકાશને પણ ધવલ(શ્વેત) કરવા લાગ્યો. આ રીતે, તારા યશ કે કીર્તિથી ત્રણેય લોક ધવલ થઈ જવાથી મૃગનયની (રૂપાળી) સ્ત્રીઓને આશ્ચર્ય થાય છે. આ કવિકલ્પનાયુક્ત વર્ણનમાં યશની શુક્લતા કે ધવલતા શબ્દબદ્ધ બની છે. શ્લોક(૮૦)માં “પ્રલય વખતે પીધેલો દૂધનો સમદ્ર, ફીણની પ્રચુરતાનો કારણે, વધારે સફેદ બનીને, ભગવાન શિવના અટ્ટહાસ્યના બહાને, જાણે મુખમાંથી બહાર નીકળે છે એ કવિવચનો વડે હાસ્યની શુક્લતા(ધવલતા)નું વર્ણન પ્રસ્તુત થયું છે. શ્લોક(૮૧)માં અપયશ કે અપકીર્તિ કૃષ્ણ(કાળી) હોય છે તે વર્ણવ્યું છે : “નીલકમલ સાથે માલતી પુષ્પોની માળાની જેમ, રાજાની કીર્તિ અને તેના શત્રુની અપકીર્તિ ચોતરફ ફેલાય છે. અહીં યશ કે કીર્તિ માલતી પુષ્પની પેઠે સફેદ વર્ણની છે અને અપયશ કે અપકીર્તિને નીલકમલ(કુવલય)ની માફક કૃષ્ણ કે કાળી વર્ણવી છે
૫૮