SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોત : ૧૦ થી ૧૪ ૧૭૩ કારિકા-૧૦ અને તે પહેલાંની વૃત્તિ-હવે ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય' (રસાદિ) ધ્વનિ જે રામાયણ મહાભારત આદિમાં પ્રબંધાત્મકરૂપે પ્રકાશિત થતો પ્રસિદ્ધ છે, તેનું જેવી રીતે પ્રકાશન થાય છે હવે એનું પ્રતિપાદન કરે છે. (પ્રબંધભંજકતાના પાંચ હેતુઓ) ‘‘વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ (અને) સંચારિભાવના ઔચિત્યથી સુંદર વૃત્ત (=પૂર્વઘટિત યાને ઐતિહાસિક) અથવા ઉત્પ્રેક્ષિત ( =કલ્પિત) થાશરીરનું નિર્માણ.’’ કારિકા-૧૧ ‘ઇતિહાસને અનુસરવા જતાં (રસને) પ્રતિકૂળ એવી સ્થિતિ આવતી હોય તો તેને છોડી દઈને વચ્ચે બીજી રસને અનુકૂળ સ્થિતિ કલ્પીને કથાનો ઉત્કર્ષ ’’ કારિકા-૧૨ ‘કેવળ શાસ્ત્રીય નિયમનું પાલન કરવાની ઇચ્છાથી નહીં પણ (શુદ્ધ) રસાભિવ્યક્તિની દૃષ્ટિથી સંધિ અને સંમ્બંગોની રચના’’ કારિકા-૧૩ ‘‘વચમાં અવસરને અનુકૂળ રસનું ઉદ્દીપન તથા પ્રશમન કરવું તથા પ્રબંધના આરંભથી અંત સુધી અંગી રસ (પ્રધાનરસ)નું અનુસંધાન કરવું.’’ કારિકા-૧૪ ‘(અલંકારોની ઇચ્છા મુજબ પ્રયોજવાની પૂરેપૂરી) શક્તિ હોવા છતાં પણ (રસને) અનુરૂપ જ (જરૂરી માત્રામાં) અલંકારોની યોજના.’’ (આ પાંચ) પ્રબંધનું રસાદિવ્યંજક હોવામાં હેતુ છે. (અર્થાત્ પ્રબંધ રસાદિનો વ્યંજક બની શકે છે એના હેતુઓ છે.) વૃત્તિ: (૧) પહેલો (હેતુ) તો વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ, સંચારી (ભાવ)ના ઔચિત્યથી સુંદર કથાશરીરનું નિર્માણ અર્થાત્ યથાયોગ્ય પ્રતિપાદનને અર્થે ઉચિત રસ, ભાવ આદિની અપેક્ષાએ જે વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ અથવા સંચારિભાવ છે તેના ઔચિત્યથી સુંદર કથાશરીરની રચના, વ્યંજક હોવામાં એક (હેતુ) છે. તેમાં વિભાવનું ઔચિત્ય તો પ્રસિદ્ધ છે. (લોક તથા ભરતનાટચશાસ્ત્ર વગેરેમાં જાણીતું છે.) (સ્થાયી) ભાવનું ઔચિત્ય પ્રકૃતિના ઔચિત્યથી આવે છે. પ્રકૃતિ ઉત્તમ, મધ્યમ, અધમ અને દિવ્ય તથા માનુષ ભેદથી ભિન્ન પ્રકારની હોય છે. તેને યોગ્યરીતે અનુસરીને અસંકીર્ણ (કોઈ મિશ્રણ વિનાનો) સ્થાયિભાવ ગોઠવાય તો તે ઔચિત્યવાળો થાય છે. નહીંતર, કેવળ માનુષ આશ્રયથી દિવ્ય પ્રકૃતિના અને કેવળ દિવ્ય આશ્રયથી માનુષ પ્રકૃતિના ઉત્સાહ વગેરે રચવામાં આવે તો તે અનુચિત થાય છે. એથી કેવળ માનુષ (પ્રકૃતિ) રાજા વગેરેના વર્ણનમાં, ‘સાત સમુદ્ર પાર કરવા’ વગેરે ઉત્સાહનાં વર્ણન સુંદર હોવા છતાં પણ જરૂર નીરસ જ દેખાય છે. તેમાં અનૌચિત્ય જ કારણ છે. (શંકા) પણ સાતવાહન વગેરે (રાજાઓના) નાગલોકમાંના ગમન તો સંભળાય છે; તો સમસ્ત પૃથ્વીને ધારણ કરવામાં (પાળવામાં) સમર્થ રાજાઓના અલૌકિક પ્રભાવના અતિશયના વર્ણનમાં શું અનૌચિત્ય છે ?
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy