________________
હઠીસિંહનું દહેરું
રવિશંકર મ રાવળ
ગાર્જર નરેશ મહારાજાધિરાજ કુમારપાળના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ ગુજરાતમાં વિસ્તાર્યો ત્યારથી
છે જ્યારે જ્યારે ગુર્જર ધનિકોને તક મળી ત્યારે ત્યારે તેમણે પોતાના ઇષ્ટદેવનાં મહાન તીર્થધામોનાં સર્જન માટે અખૂટ દ્રવ્ય વાપરવામાં જે ઉદારતા દાખવી છે તે ઈતિહાસપ્રસિદ્ધ બની છે. કુંભારિયા, આબુ, શત્રુંજય અને રાણકપુરનાં દેવમંદિરો તેની પૂર્ણ પ્રતીતિ આપે છે. - આ પરંપરાએ અમદાવાદમાં પણ જૈન મંદિરોથી નગરને શોભા અને પ્રસિદ્ધિ મળ્યાં છે. ગુજરાતી મુસ્લિમ સુલતાનોએ અમદાવાદ વસાવ્યું એટલે તેમનાં મકાનો અને મસ્જિદ તથા મકરબા ઉત્તમ જ હોય. તેમના રાજદ્વારે જૈન શેઠિયાઓને સારું સન્માન મળતું તેનો લાભ લઈ તેમણે પણ સારામાં સારાં મંદિરો બંધાવી કીર્તિ પ્રાપ્ત કરી છે. અમદાવાદ અસલથી જૈન નગરી છે. શાહજહાંના વખતમાં ઝવેરી શાંતિદાસે બાવન જીનાલયોવાળું ચિંતામણિનું દહેરું બંધાવેલું પણ ઔરંગઝેબની સુબાગીરી વખતે તે અપવિત્ર થયું હતું અને કેટલાક સમય સુધી જૈનોની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમાઓ ભોંયરામાં રાખવી પડી હતી.
આવું ઘણું કાળ ચાલ્યા પછી ઓગણસમી સદીના અધવચમાં પહેલાંના રાજ્યની અસ્થિરતા અને ભય જતાં રહ્યાં હતાં અને ખાસ કરી અંગ્રેજી રાજ્યમાં લોકોને શાંતિ મળી. એ શાંતિમાં અમદાવાદના લોકોનો ભાંગી પડેલો વેપાર ધીમેધીમે સુધર્યો, જામ્યો અને વિસ્તર્યો એટલે જેનોનો મંદિરો બાંધવાનો રસ પણ જાગ્રત થયો અને ઓગણસમી સદીના મધ્યમાં શેઠ હઠીસિંહનું મોટું દેવાલય દિલ્લી દરવાજા બહાર બંધાયું. શાંતિદાસ શેઠના ચિંતામણિ મંદિરનો નાશ થયા પછી એવું મોટું મંદિર આ જ હતું. મોગલાઈ પછીની અંધાધૂધીમાં મૂંઝાયેલા મુલકમાં બીજા કોઈ પ્રાંતમાં એ સમયે આવી ઉત્તમ કારીગરીવાળું મંદિર ભાગ્યે જ થયું હશે એમ કહેવું વધુ પડતું નહિ ગણાય.
અમદાવાદના દિલ્લી દરવાજા બહાર આવેલું આ સુંદર મંદિર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હઠીભાઈ શેઠને અમદાવાદમાં કોઈ નહિ ભૂલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org