SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા આદરપૂર્વક કરે છે, પણ ઉપકારિઓ તેવા આદરની વાત કરતા નથી. શ્રી જિનપૂજા પણ આશંસાથી રહિતપણે જ કરવાનું વિધાન છે. આથી સર્વ ગૃહસ્થોએ નિરાશસભાવે અને બાહ્યાભ્યન્તર આદરપૂર્વક જ ભગવાનશ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા કરવી જોઇએ. રાજાની પાસે થાય છે તેવુંય વિનયાચરણ શ્રી જિનની પાસે થાય છે ખરું? આજે શ્રી જિનપૂજાના વિષયમાં આદરભાવને અંગે ઘણી મોટી ખામી જણાય છે. શ્રી જિનપૂજાના વિષયમાં આજે ઘણો અનાદરપૂર્ણ વર્તાવ થઇ રહ્યો છે. સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે-જેના આદરથી લાભ મોટો, તેના અનાદરથી હાનિ મોટી. આ વાત તમે સમજતા નથી, એવું નથી જ. હૃદયમાં જેને માટે દુર્ભાવ હોય અગર હૃદયમાં જેને માટે સારો ભાવ ન હોય, એવા પણ અમલદાર વિગેરેની પાસે તથા રાજા વિગેરેની પાસે તમે કેવો વિનયયુક્ત મર્યાદાશીલ વર્તાવ રાખો છો, એ જાણનાર કોઇ પણ માણસ તમને પ્રાયઃ વ્યવહારદક્ષ જ કહે. રાજાની પાસે જવું હોય ત્યારે કાળજી કેટલી ? જે સમય નક્કી કરેલો હોય, તેનાથી વહેલા કે મોડા થવાય નહિ. વહેલા થાય તો બહાર રહે, પણ અંદર પેસે નહિ. કોઇ વખતે નિરૂપાય દશામાં મોડું થઇ જાય, તો એને માટે કેટકેટલી વાતો ગોઠવી રાખે. ત્યાં જવાને માટે શરીરને એવું સ્વચ્છ કરી લે કે-ક્યાંય મેલ દેખાય. નહિ અને ક્યાંયથી દુર્ગધ આવે નહિ. કપડાં સારી જાતનાં પહેરે, સ્વચ્છ પહેરે, જેવી રીતિએ એ કપડાં પહેરીને રાજા પાસે જવાતું હોય તેવી રીતિએ પહેરે અને પોતાની જે જાતિની ગણત્રી ગણાતી હોય તે ગણત્રીને છાજે તેવાં કપડાં પહેરે. ત્યાં પહોંચ્યા પછીથી પણ દરવાજામાં સાવધાનીથી અને વિનયમય ચાલથી પેસે. તેમાંય સામે જો રાજા હોય તો તો પૂછવું જ શું? રાજાને દેખતાની સાથે જ માથું નમવાને અને હાથ જોડાઇ જવાને તૈયાર જ હોય. રાજાની પાસે પહોંચ્યા પછીથી પણ, જેવી નમ્રતાથી અને જેવી પદ્ધતિથી રાજાને નમન કરવાનું નક્કી થયેલું હોય, તે મુજબ જ નમન કરવાની કાળજી અગાઉથી રાખી હોય. અમુક રાજાને કેમ નમાય છે અને તેની પાસે કેમ જવાય છે, તેની જો ખબર ન હોય, તો પહેલાં તેના જાણકારને પૂછીને અને શીખીને ત્યાં જાય. રાજા પાસે જે ભેટશું કરે તે પણ વારો આવે ત્યારે અને વિનયથી જ કરે અને તે પણ જ્યાં જેમ મૂકાતું હોય ત્યાં તેમ જ મૂકે. રાજાના કોઇ અંગને સ્પર્શ કરવાનો હોય તો એવી મૃદુતાથી કરે કે-સ્પર્શ થવા છતાં પણ સ્પર્શ થયો નથી એમ લાગે. જ્યાં સુધી એ રાજા સમક્ષ રહે, ત્યાં સુધી એ ડાફોળીયાં મારે જ નહિ. એની નજર રાજાની સામે ને સામે હોય. રાજાની નજર મારા ઉપર પડે ત્યારે મારું ધ્યાન બીજે છે-એવું નહિ જ દેખાવું જોઇએ, એની પણ પૂરતી કાળજી, રાજસભામાં ગમે તેટલું બીજું જોવાનું હોય, પણ તે જ્યાં સુધી રાજાની સેવામાં હોય, ત્યાં સુધી તો વધુમાં વધુ આંખનો સંયમ રાખે. ત્યાં કોઇનીય સાથે તે આડી-અવળી વાતો કરે નહિ. રાજાની સમક્ષ જ્યારે બોલવાનું હોય, ત્યારે પણ વિનયભર્યું વચન બોલે. બધું કામ પતાવ્યા પછી પણ એ પાછો વળે રાજાની અનુમતિ મળ્યથી જ અને પાછા વળતાં પણ ક્યાંય અવિનય થઇ જાય નહિ તેની સાવધગીરી રાખે. આ બધું જાણનારા અને અવસરે આચરનારા તમે, ભગવાન શ્રી જિનેશ્વરદેવની પાસે કેવી રીતિએ જાવ-આવ કરો છો, તે તમે પોતે જ વિચારીલો. ભગવાન પાસે તો તમારે રાજાની પાસેના વિનયાચરણ કરતાં પણ વધારે વિનયાચરણ કરવું જોઇએ ને ? તમે એ પ્રમાણે કરો છો ખરા ? અને કોઇ વાર તેમાં ભૂલ થાય તો તે તમને ડંખે છે ખરી ? પરંતુ Page 105 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy