________________
sabada\2nd proof
મહેન્દ્રભાઈનાં વ્યાખ્યાનો સાંભળતાં અમિત (રાજુ) અને પ્રકાશ (ટીનુ)ને પણ સંસાર છોડીને દીક્ષાર્થી બનવાનો વિચાર આવવા લાગ્યો. સમાજ અને કુટુંબ સાથે બહુ મોટો સંઘર્ષ કરીને પૂનાથી અમદાવાદ મહારાજ સાહેબ પાસે સુરેશભાઈ બંને કિશોરો સાથે આવ્યા. એક વર્ષ સુધી તેમની સાથે રહ્યા. જયારે આચાર્ય શ્રીવિજયરામચંદ્ર-સૂરીશ્વરજી મહારાજ સાહેબને લાગ્યું દીક્ષા માટે બંનેની મનોભૂમિ પરિપકવ છે. ત્યારે સુરેશભાઈ, અમિત અને પ્રકાશ ત્રણેયને એક સાથે દીક્ષા આપી.
સુરેશભાઈનું દીક્ષિત તરીકે મુનિ શ્રીસંવેગરતિવિજયજી મહારાજ સાહેબ નામ રાખવામાં આવ્યું. અમિતનું નામ મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને પ્રકાશનું નામ મુનિશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ રખાયું.
મુનિશ્રી સંવે ગરતિવિજયજી મહારાજ સાહેબ અમદાવાદમાં સ્થાયી નિવાસ કરે છે. પ્રવચનકાર બંધુબેલડી તરીકે પ્રસિદ્ધ મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ અને મુનિશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ-એ સાત વર્ષ સુધી પરમ પૂજય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે રહીને જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. જૈન-જૈનેતર પંડિતો પાસે દર્શનશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુની કૃપા દ્વારા વ્યાખ્યાનશક્તિ પણ હાંસલ કરી.
એ પછી છેલ્લા દસ વર્ષથી તેઓ ધર્મપ્રચારાર્થે વિહાર કરી રહ્યા છે. તેમણે નવસારી, વાપી, નાસિક, કરાડ, કલકતા,
નાગપુર, મંચર, અમદાવાદ અને ડીસામાં ચાતુર્માસ કરેલ છે.
યુવાશક્તિને ધર્મ માર્ગે વાળવાની કળા તેમણે હસ્તગત કરી છે. સંધ્યાભક્તિ દ્વારા ભગવાનની ભક્તિમાં તરબોળ કરાવી શકે છે. તેમનાં સાંનિધ્યમાં અનેકવિધ સમાજોદ્ધારક કાર્યો થતા રહે છે.
- પૂજય મુનિરાજશ્રી વૈરાગ્યરતિ મહારાજ સાહેબે ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથોનું સંપાદન કરેલ છે. તેઓ સંસ્કૃતમાં લખે પણ છે અને દર્શન શાસ્ત્રોને તથા અઘરા સંસ્કૃત ગ્રંથોને ઉકેલવાની સારી હથોટી ધરાવે છે. એમના સંપાદિત ગ્રંથો ખૂબ આવકાર પામ્યા છે.
પૂજય મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબ સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. સંસ્કૃતમાં કાવ્યસર્જન અને ગુજરાતીમાં પણ ધાર્મિક પુસ્તકો તેમણે લખ્યાં છે. ‘‘સાધુ તો ચલતા ભલા” પુસ્તક–જેમાં તીર્થયાત્રાનું ભાવનાત્મક વર્ણન કરેલ છે– ખૂબ આવકાર પામ્યું છે. એ સિવાય ક્રોધને જીતવાનો માર્ગ, પ્રસન્નતાની પાંખો, અનહદની આરતી, વંદના વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે.
લોહાણા સમાજના એક જ પરિવારના આ ત્રણ સંતો આપણી વચ્ચે આજે પણ હયાત છે. એ આપણા સહુનું સદ્ભાગ્ય છે.
‘હાશ’ ૩, વિજયપાર્ક સોસાયટી
હાઈવે, ડીસા
કનુભાઈ આચાર્ય (‘રઘુવંશી અલખના આરાધકો’
માંથી સાભાર)