SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર સુધારવા ! વરસ થયું, તેમાં બહારના વર્તનમાં પણ ફેરફાર દેખાય છે. ભાષા કઠોર હતી, એને બદલે નરમ થતી જાય છે. ૩૬૩ દાદાશ્રી : હવે એ જેમ જેમ ભરેલો માલ ઓછો થતો જાય છે, તેમ તેમ ફેરફાર દેખાય. આપણા લોકો જે ખોળે છે એવું એકદમ ના જડે. અને તમને પોતાને ખબર પડે કે ઓછું થતું ગયું. બીજા લોકોને તો ચંદુભાઈ એવાં ને એવાં જ દેખાય. આ બધાને ક્યારે દેખાય ? આ બધું જ ખાલી થઈ જશે, ત્યારે પછી મનમાં થશે કે આ ચંદુભાઈ પહેલાં હતા તેવાં હોય. જેવા ભાવે બંધ, તેવા ભાવે નિર્જરા ! એવું છે ને કે આચરણ એ પુદ્ગલમાં જે ભર્યું છે, તે નીકળશે. પુદ્ગલનો અર્થ શું ? પૂરણ કરેલું. પુર અને ગલ. બે શબ્દોનું પુદ્ગલ થયું. એ પુર એટલે પૂરણ કરેલો માલ. તમે ગયા અવતારે જે પૂરણ કરેલું છે, તે આ અવતારમાં ગલન થઈ રહ્યું છે. હવે બોલો, ગલન થાય તેમાં તમે રાગ-દ્વેષ કર્યા કરો એનો શો અર્થ છે ? તો ભરતી વખતે જોવાની જરૂર હતી. અત્યારે નીકળતી વખતે શું ? એનો ઉપાય જ નહીંને, એ તો થયા જ કરવાનું. એને જોયા કરીએ, જ્ઞાતા-દ્રષ્ટા જ રહે, જે થાય તે. કારણ કે પૂરણ કરતી વખતે જોવાનું હોય છે. તો તે વખતે તો જ્ઞાની પુરુષ મળ્યા ના હોય એટલે જે ફાવે એ બજારમાંથી ખરીદી કરી. જે ભાવે બંધ થયું છે, તે ભાવે જ નિર્જરા થાય. નિર્જરામાં ફેર પડે નહીં. ત બોલાય ‘હવે વાંધો નથી' ! ઘણા લોકોના આચાર સારા હોય છે પણ અંદર બહુ જ ખરાબ હોય છે અને આચાર ભલે આપણા મહાત્માઓના ખરાબ હોય તો ય પણ અંદર કેવા ડાહ્યા ! પ્રશ્નકર્તા : આ વાત સિદ્ધાંતની છે પણ કેટલીક વખતે અમારાથી શું થાય છે કે દાદાનું આ વચન છેને, તે આ એકાંતિક વચન પકડી લેવાય છે કે અમારા આચાર-બાચારનું કંઈ નહીં, એ બધું અંદરનું જુઓ હવે એ. દાદાશ્રી : એ પકડી લે છે, બસ. એ પકડી લેવાની જરૂર નથી. આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) તમારે સમજવાની જરૂર છે કે ભય નહીં રાખવો જોઈએ આવું બની જાય તો. પણ પકડી લો તો તમારું કાચું રહી જશે. પ્રશ્નકર્તા : પકડી લઈએ છીએ ને એના બચાવમાં બેસી જઈએ છીએ. ૩૬૪ દાદાશ્રી : નહીં, બચાવમાં ના બેસાય. હંમેશાં એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો નિશ્ચય તમારો દ્રઢ હોય છે ને ! સો-બસો કૂવા હોય અહીં આગળ અને તેમાં રહીને રસ્તે આવવા-જવાનું હોય, તો અંધારામાં કંઈ પડતા નથી. કારણ કે તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં નથી પડવું, એટલે એ ના પડાય. પણ તમે જો કૂવાના બચાવમાં જાવ તો પડાય. નિશ્ચય તો જોઈએ ને તમારો, આ તો હું શેના માટે કહું ? તમને પકડી લેવા માટે નહીં, તમને ભયરહિત બનાવવા માટે કહું છું. તમારા આ બાહ્યાચાર આવાં છે, વાંકા છે, તેનો વાંધો રાખશો નહીં. એનો અર્થ તમારે પકડી લેવાની જરૂર નહીં, તમારે તો એમ જ રાખવાનું કે આ ન જ થવું જોઈએ, બસ. પછી થઈ ગયું, એને લેટ ગો કહીએ છીએ. આપણે શું કહ્યું ? વ્યવસ્થિત કોને કહીએ છીએ કે ભઈ, ઊઘાડી આંખે ગાડી હાંક અને તે સાવધાનીપૂર્વક હાંક અને પછી અથડાઈ તે વ્યવસ્થિત. પછી ગુનો તમારો થઈ જાય તેનો વાંધો નથી, એ વ્યવસ્થિત છે પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ. પ્રશ્નકર્તા : દાદા, એ નિર્ભય બનવા માટે આપ કહો છો પણ સાથે સાથે આ વર્તણૂંક અત્યારની મારી આવી છે એ જોઈને મને એવો વિચાર ના થવો જોઈએ કે આ મેં કેવો માલ ભર્યો છે ? દાદાશ્રી : એ તો આવવો જ જોઈએ કે મેં બળ્યો, આવો માલ ભર્યો ! પણ એ થાય બધાને. બધાય થાકે-કંટાળે ને બધાને ગમે ય નહીં આ, પણ શું થાય ? કોઈ ઉપાય જ નહીં ને બીજો ! એટલે તમારે ફક્ત એટલું ન બોલવું જોઈએ કે હવે મારે કશો વાંધો નહીં. એવું તમારે બેફામ ન બોલવું જોઈએ. એટલું અમે કહેવા માંગીએ છીએ. બાકી અમે જે આપેલું છે, એ તો તમને કશું થવાનું નથી એવું જે જાણીને જ આપેલું છે, તમે બેફામ ના બોલો તો !
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy