SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ . | ૪૨૯ | રાગ અને દ્વેષ બે જ જીવનું ભિન્ન ભિન્ન યોનિઓમાં ગમન કરાવે છે, તે સંસ્કારોનું અને જુદી જુદી સાધન-સંપત્તિ મેળવવાનું અને ગુમાવવાનું મૂળ છે, આથી એનો ક્રમિક સંક્ષય કરવો એ જ વિકાસનો હેતુ છે અને એનો સંપૂર્ણ ક્ષય કરવો એજ વિકાસની પરાકાષ્ઠા. આવુ શ્રી મહાવીરે જાણ્યું અને તેથી જ રાગદ્વેષના વિનાશાથે સાધના આદરી. આ સાધનાનું મુખ્ય સાધન તે સમભાવ. (ઉદ્દેશક ૧, ગાથા ૧૪) સ્વાનુભવની આ સચોટ સાધના ક્રમપૂર્વક થવાથી જ તે ભગવાનના પદને પ્રાપ્ત થયા હતા તે બતાવવા પૂરતું 'ભગવાન' વિશેષણ વપરાયું છે. ઉત્તમ પ્રકારનું બીજ કે જે ફલિત થયા વગર રહેતું જ નથી, એવા ક્ષાયિક સમક્તિની ઉચ્ચકોટિની ક્ષપકશ્રેણીનો ઉપર નિર્દેશ છે. (ક્ષપકશ્રેણી ૮ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે.) ક્ષપકશ્રેણીવાળા જીવને હવે પતન નથી. તેથી જ એને ભગવાન વિશેષણ ઉપયુક્ત છે. બીજે સ્થળે તો ઉપરનાં સૂત્રોમાં મુનિ, શ્રમણ, જ્ઞાતપુત્ર, મહાવીર વગેરે વિશેષણો આવ્યાં હતાં. દિવ્યવસ્ત્ર પાસે આવેલું 'ભગવાન' એ વિશેષણ ભાવી તીર્થકૃતની પ્રતીતિરૂપ સમજવાનું છે. મમત્વ એ સમભાવનું ઘાતક શસ્ત્ર છે. એટલે પહેલા શ્રી મહાવીરને એ બાધક કારણોનો નાશ કરવો આવશ્યક લાગ્યો તથા મમતા ઉતારવી ઈષ્ટ થઈ. એટલે પહેલાં એમણે ગૃહસ્થાશ્રમમાં અર્પણતાના ગુણને ખીલવ્યો, વરસીદાન કર્યું, અનુકંપા સેવી, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર સાથેની ઉચિત કર્તવ્યપ્રણાલિકા જાળવી, પછી જવૈરાગ્યભાવની જાગૃતિ થતાં પદાર્થોનો ત્યાગ રાજમાર્ગ તરીકે સ્વીકાર્યો. પરંતુ બાહ્યત્યાગ પછી સંતોષ ન પકડી લેતાં જિજ્ઞાસા જાગૃત રાખી એમણે આ રીતે ધ્યાન, ચિંતન અને નિરીક્ષણ દ્વારા આંતરિક મમત્વને ઘટાડવા માંડ્યું. એ મનની ક્રિયા હેતુએ નહોતી થતી, પણ મમત્વવૃત્તિના પલટા માટે થતી હતી. (ઉદ્દેશક ૧,ગાથા ૧૫) દેહ છે ત્યાં સુધી હલન, ચલન, ખાન, પાન અને એવી આવશ્યક ક્રિયાઓ રહે, અને એ ક્રિયાઓ દેહ, ઈન્દ્રિયો, મન અને આત્માની એકવાક્યતા વિના જન્મ નહિ; એટલે કર્મબંધન તો છે જ. પરંતુ નિરાસક્ત ભાવે બંધાયેલું કર્મ નિબિડ કે સ્નિગ્ધ નથી હોતું. તેનું આલોચના કે એવાં બીજા સાધનો દ્વારા તુરત નિવારણ થઈ જાય છે. તે ઈર્યાપ્રત્યયિકી કર્મ કહેવાય છે અને જે ક્રિયા આસક્તિપૂવક થાય છે, તે દ્વારા બંધાયેલું કર્મ સાંપરાયિક એટલે સંસાર વધારનારું કર્મ હોવાથી સાંપરાયિક કર્મ કહેવાય છે. આ બન્ને પ્રકારના કર્મોમાં બીજું બંધનકર્તા, દુઃખકર્તા અને સંસારકર્તા છે. તેથી એના ક્ષય તરફ જ પ્રધાન લક્ષ્ય હોવું ઘટે. શ્રી મહાવીરે તે તરફ જ વધુ લક્ષ આપ્યું હતું અને તેથી જ તે ક્રમિક વિકાસ પામ્યા હતા. એમ કહી સૂત્રકાર એમ ચોખ્ખું સમજાવી દે છે કે ક્રિયા તરફ જોવા કરતાં એ ક્રિયા શાથી અને શા સારુ થાય છે તે તરફ જુઓ; એટલે કે તમારી કઈવૃત્તિ તમારી પાસે એ ક્રિયા કરાવે છે અને એ ક્રિયા પછી તેનું પરિણામ વૃત્તિ પર કેવા આકારમાં આવે છે એ તપાસતા રહો, પછી તે ક્રિયા વ્યવહારની હો કે ધર્મની હો. આનું જ નામ ઉપયોગ, જાગૃતિ કે સાવધાનતા. (ઉદ્દેશક ૧,ગાથા ૧૮) સાધકે માનાપમાનમાં સમતા કેટલી કેળવી છે? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવા જ્ઞાનમાં સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રના અનંત ગ્રંથોથી ય ન મળી શકે. એવું લોક માનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી ગામડે ગામડે ઘેર ઘેર પહોંચી વળે છે. એ દષ્ટિએ જ શ્રમણ સંસ્થા માટે આ બે સાધનો નિમાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy