SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દૃષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિવૈરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થ દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે, કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું હરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેઓથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનુ એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સદગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy