SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અમરતાને પામે છે. માટે હે, રાજા, મૂઢ મનુષ્ય ની પેઠે દીનતા પામશો નહિ. (૧૦) રામની સ્થિતિ વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠ કહેલા વચનો થી દશરથ રાજા મનમાં હર્ષ પામ્યા, ને રામને બોલાવી લાવવા માટે દૂતને આજ્ઞા કરી. થોડીવારમાં તો દૂત રામના અનુચરો સાથે પાછો આવ્યો,ને કહેવા લાગ્યો કેરામ તો તેમના આવાસમાં ઉદાસ થઈને બેઠા છે,એક તરફ તે કહે છે કે હું આવું છું પણ બીજી તરફ તો તરત તે કોઈ વિચારમાં ડૂબી જાય છે.અને મનમાં મૂંઝાઈ ને કોઈની પાસે ઉભા રહેવાને જાણે ઇચ્છતા નથી. દશરથરાજાએ રામના અનુચરોને પૂછ્યું કે-રામ શું કરે છે? અને તે કેવી સ્થિતિમાં છે? ત્યારે રામના અનુચરે ખેદ-પૂર્વક રાજાને કહ્યું કે-રામનું શરીર ખેદને લીધે કરમાઈ ગયું છે. તીર્થયાત્રા થી પાછા આવ્યા પછી થોડા દિવસ પછીથી આજ સુધી તે મનમાં કચવાયા કરે છે. અમે ઘણા યત્નથી પ્રાર્થના કરીએ ત્યારે રામ,કરમાયેલા મોઢે દિવસ-સંબંધી કાર્યો કરે છે,કદી નથી પણ કરતા.અમે અત્યંત વીનવીએ છીએ પણ તો પણ તે પુરું ભોજન જમતા નથી. સંપત્તિ હોય તો પણ શું? વિપત્તિ હોય તો પણ શું? ઘરમાં શો સાર છે? મનોરથ કરવાથી શું વળે? એ તો સઘળું મિથ્યા છે.' એમ બોલી ને તે (રામ) ગમ-સુમ એકલા બેસી રહે છે. જોઈતી વસ્તુઓ ના ગ્રહણમાં વિમુખતા સેવી,અને જાણે સંન્યાસ ધર્મ પાળનારા તપસ્વીઓને અનુસરતા, એવા,તે રામ,પદ્માસન વાળી ને શૂન્ય મનથી,કેવળ ડાબા હાથની હથેળી ગાલ ને ટેકવી રાખે છે. અમે સર્વ સેવકો,તથા ભાઈઓ અને માતાઓ તેમને વારંવાર તેમણે પૂછીએ તો એ “કંઈ જ નથી' એમ કહીને કોઈ સૂચક ચેષ્ટા વિના મૂંગા રહે છે. અનાયાસે મળે એવા પદને નહિ મેળવતાં,મેં બહારની પ્રવૃત્તિઓ કરીને આટલાં વર્ષો ને પાણીમાં નાખ્યાં એમ વારંવાર મધુર ધ્વનિથી મનમાં ગુનગુનાયા કરે છે. કોઈ તેમની પાસે ધન માગવા આવે ત્યારે ધન તો આપદાઓના મુખ્ય સ્થાન-રૂપ છે, તેને તું શા માટે ઈચ્છે છે?’ એમ કહી સઘળું ધન આપી દે છે. “સંપત્તિ એ તો આપત્તિ છે,તેનો મોહ માત્ર કલ્પનાથી ઉભો થાય છે એવા અર્થના લોકો ગાયા કરે છે, વળી બોલ્યા કરે છે કે-“હાય,હું માર્યો ગયો,હાય,હં, અનાથ છું!” એવી રીતે જે લોકો રોયા કરે છે, છતાં તે લોકો ને વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતો નથી ? તે આશ્ચર્ય છે. રામના અનુચરો કહે છે કે-હે, રાજા, રામ આવી સ્થિતિમાં અને આવી રીતે વર્તે છે, તે જોઈ અમે પણ અત્યંત ખેદ પામ્યા છીએ અને આ વિષયમાં હવે આપ જ અમારા આધાર છે. એ પોતે.વિવેકી છે એટલે એમને મૂઢ કહી શકાય તેમ નથી અને એમને વિશ્રાંતિ મળતી નથી, એટલે એમને મુક્ત પણ કહી શકાતા નથી. (૧૧) રામનું દશરથ રાજાએ અને મનિઓએ કરેલું સાંત્વન વિશ્વામિત્ર બોલ્યા-હે,અનુચરો,તમે રામને અહીં લઇ આવો, તેમણે જે આ મોહ થયો છે તે કોઈ આપત્તિથી કે કોઈ રોગ થી થયો નથી, પણ તે વિવેક અને વૈરાગ્ય થી થયો છે. એ ‘મોહ' નથી પણ ‘બોધ' છે. અને તેનું ઉત્તમ ફળ આવશે.તે અહીં આવે એટલે અમે તેમનો આ મોહ, યુક્તિ-પૂર્વક દૂર કરી નાખીશું, એટલે રામ, અમારી પેઠે સર્વોત્તમ પદમાં વિશ્રાંતિ પામશે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy