SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ વ્રત-તપ-પૂજા-ભક્તિ, દયા-દાન કે શાસ્ત્રાભ્યાસ કરે તે સમ્યક નામને પ્રાપ્ત થતાં નથી. પોતે કોણ છે? કેવો છે ને કેવડો છે? પોતે પોતાથી જ કેમ રીસાઈ ગયો છે? એને મનાવીને કેમ મેળવી શકાય? તે વાત સર્વજ્ઞ વીતરાગી દેવો સિવાય બીજું કોઈ સંપૂર્ણ જાણતું નથી. વીતરાગ માર્ગ સિવાય જીવ બીજી કોઈ રીતે પોતાને મેળવવા મથે તો પણ તે મળી શકે તેમ નથી. સર્વજ્ઞદેવોએ દર્શાવેલ જીવનું સ્વરૂપ શું છે? તે સ્વરૂપથી વિરૂપ કેમ થયો છે? અને કેમ કરતાં સ્વરૂપ દશા સાધે તે જાણી, તેમાં એકાગ્ર થાય, તેની પ્રતીતિ આવે ત્યારે સાચી સમજણ થાય. જ્ઞાનથી પોતે જેવો અને જેવડો જાણ્યો તેવો અને તેટલો શ્રદ્ધામાં પ્રતીતમાં-દર્શનમાં ભાસે ત્યારે પોતે પોતાને પામ્યો કહેવાય. જ્ઞાન-દર્શનની પર્યાય એકતા સાધી, ધ્રુવ દ્રવ્યને ભજે ચૂમે-સ્પર્શે, તેની સાથે તાદાત્ય અનુભવે તે સમકિત છે - સમ્યગ્દર્શન છે - સ્વાનુભૂતિ છે. “રસ સ્વાદત સુખ ઉપજે” એનું નામ અનુભવ. તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. જો તારાથી ચારિત્રદશા પ્રગટન થઈ શકે તો છેવટમાં છેવટ આટલું - આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે. કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે ? પહેલાં રાગ ટળી જાય પછી જ રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાય દષ્ટિ છોડીને સ્વભાવ દૃષ્ટિથી જો તો તને રાગ રહિત સ્વરૂપનો અનુભવ થશે જ. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે જ વખતે રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાય દષ્ટિ છોડીને તું તારા રાગ રહિત સ્વભાવની પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ અલ્પકાળે ટળી જશે. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ છૂટી ન શકે તો પણ મારું સ્વરૂપ રાગ રહિત જ છે એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. તારાથી ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ. પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર. જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. આત્મ સ્વભાવની સાચી સમજણનો પ્રયત્ન કર્યા જ કરવો. એ જ સરળ અને સાચો ઉપાય છે. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે. આ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્માની વાત પણ જે જીવ પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy