SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પણ હવે તમારું પુણ્ય પરવારવાનું છે. બસ ! નવ દિવસ માટે જ હું અહીં છું. પછી તમારા ઘરેથી હું ચાલી જવાની છું. જે તૈયારી કરવી હોય તે કરી દેજો .’’ આટલું કહીને લક્ષ્મીજી તો અદશ્ય થઈ ગયા. વિદ્યાપતિ શેઠ વિચારમાં પડી ગયા. ‘શું આ સત્ય છે કે સ્વપ્ન ?’ ચુંટી ખણીને તેમણે ખાતરી કરી લીધી. ‘ના, આ સ્વપ્ન નથી. નક્કર સત્ય છે.' તેમને ચક્કર આવવા લાગ્યા. ધરતી જાણે કે પગ નીચેથી સરકવા લાગી. ‘બસ ! નવ દિવસ પછી લક્ષ્મીજી જશે ! શું હું દરિદ્ર બની જઈશ ? મારે ઘેર ઘેર ભીખ માંગવાના દિવસો આવશે ?’ તેમની છાતીના ધબકારા વધી ગયા. શૃંગારસુંદરી તેમને જાગતા જોઈને તેમની પાસે આવી, ‘‘તમે હજુ જાગો છો ? અરે ! પણ ઉદાસ કેમ છો ? શું કોઈ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ? તમે આટલા બધા નિરાશ કેમ થઈ ગયા ? કઈ ચિંતા તમને કોરી રહી છે ? આવા ગમગીન તો મેં તમને ક્યારેય નથી જોયા ? કહો તો સ્વામી ! એવું તે કયું દુઃખ આપણી ઉપર આવી પડ્યું છે ? હું તો આપની અર્ધાંગના છું. માત્ર સુખમાં ભાગ પડાવનારી નહિ; દુઃખમાં પણ ભાગ પડાવનારી. પછી માત્ર આપ જ દુ:ખી શા માટે થાઓ છો ?’’ વિદ્યાપતિએ શૃંગારસુંદરીની સામે જોયું. પોતાના દુઃખે દુ:ખી થયેલી આ સ્ત્રીને જોઈને તેને હુંફ મળી. ધીમે રહીને તેણે કહ્યું, ‘‘પ્રિયે ! બીજું તો કાંઈ દુ:ખ નથી, પણ થોડીવાર પહેલાં સાક્ષાત્ લક્ષ્મીજીએ આવીને મને કહ્યું કે, ‘નવ દિવસ પછી હું વિદાય લઉં છું.’ આ વાક્યે મને ખળભળાવી દીધો છે. તેઓ જાતે જ આવીને કહી ગયા છે, તો તેમને શી રીતે રોકી શકાય ? તેઓ જશે તો આપણું શું થશે ? એ વિચારે હું મુંઝાઈ ગયો છું.” જિન શાસનને પામેલી આ શ્રાવિકા તો આ શબ્દો સાંભળતાં હસી પડી. વિવેકપૂર્વક તેણે જવાબ વાળ્યો, ‘‘હે સ્વામીનાથ ! આમાં અકળાવા જેવું છે શું ? લક્ષ્મીને જવું જ હોય તો ભલે જાય. આપણે તેનું કામ પણ શું છે ? આમે ય લક્ષ્મી ચંચળ છે. કદી કોઈના ત્યાં કાયમ રહેનારી નથી. વળી આપણે તો મોક્ષે પહોંચવાની ઈચ્છાવાળા છીએ. ત્યાં પહોંચવામાં રૂકાવટ કરવાનું કામ આ લક્ષ્મી કરે છે. તેની પાછળ આસક્ત થઈને શું કામ છે ? જ્યાં સુધી આપણું પુણ્ય જોર મારતું હતું, ત્યાં સુધી આપણે તેને ભોગવી. હવે જો પુણ્ય પરવારતું હોય અને તેથી તે લક્ષ્મી ચાલી જતી હોય તો આપણે તેને પ્રેમે વિદાય આપવી જોઈએ. લક્ષ્મી જાય તો ભલે જાય, આપણી સજ્જનતા ન જવી જોઈએ. આપણો વિવેક નાશ ન પામવો જોઈએ. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ ૯
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy