SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદર્શન ૨૧૩ જ્ઞાન અને ભાવ બંનેય હોતાં નથી, તેમાં માત્ર સંસ્કારો જ હોય છે. નિરુદ્ધાવસ્થામાં માત્ર સંસ્કારોનો પ્રવાહ શાંત વહ્યા કરે છે. ચિત્તવૃત્તિઓ પાંચ છે–પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. યોગદર્શન બધાં જ જ્ઞાનોનું આ પાંચ વિભાગોમાં વર્ગીકરણ કરે છે. પ્રમાણ યોગદર્શન ત્રણ પ્રમાણો સ્વીકારે છે–પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ (આગમ) .“ આ ત્રણેય પ્રમાણોની બાબતમાં સાંખ્ય અને યોગનો મત એક જ છે એટલે એમનું નિરૂપણ ફરી કરવાની જરૂર નથી. વિપર્યય વિપર્યય મિથ્યાજ્ઞાન છે. તે વસ્તુના યથાર્થ રૂપને નહીં પરંતુ તેનાથી ઊલટા રૂપને દર્શાવે છે. તે મિથ્યાજ્ઞાન હોઈ પ્રમાણજ્ઞાનથી તેનો અને તેને આધારે ચાલતા વ્યવહારનો બાધ થાય છે. “વિપર્યયમાં ભ્રાન્તિ અને સંશય બંનેનો સમાવેશ થાય છે. છીપ વિશે આ ચાંદી છે એવું જ્ઞાન ભ્રાન્તિ છે, અને આ છીપ હશે કે ચાંદી” એવું જ્ઞાન સંશય છે. આ બંનેય જ્ઞાનો વસ્તુના યથાર્થ આકારવાળા નથી. આ બંનેય જ્ઞાનોની બાબતમાં બાહ્ય વિષયના આકાર અને ચિત્તમાં ઊઠેલા આકાર વચ્ચે સારૂપ્ય નથી હોતું. વળી, તે જ્ઞાનો ધરાવતી વ્યક્તિઓ છીપને જેવી હાથમાં લે છે તેવી જ તેમની ભ્રાન્તિ અને સંશય ટળી જાય છે કારણ કે તેને હાથમાં લેતાં તે ચાંદી કરતાં વજનમાં ખૂબ હલકી તેમને જણાય છે. અહીં ઉત્તરકાલીન હલકાપણાનું પ્રમાણજ્ઞાન પહેલાંના “આ ચાંદી છે” એવા ભ્રાન્ત જ્ઞાનને કે “આ ચાંદી હશે કે છીપ' એવા સંશયજ્ઞાનને દૂર કરે છે. હકીકતમાં, વિષયના આકાર જેવો જ આકાર ચિત્તમાં ઊઠ્યો નથી તેનું ભાન તો આપણને ત્યારે જ થાય છે જ્યારે તે વસ્તુવિષયક ઉત્તરકાલીન જ્ઞાનોથી તે પૂર્વનું જ્ઞાન બાધિત થાય. ' અહીં કોઈ નીચે પ્રમાણે પ્રશ્ન ઉઠાવે. પૂર્વનું જ્ઞાન પછીના જ્ઞાનથી બાધિત થાય એ સંભવે જ નહિ. તેથી અમુક જ્ઞાન વિપર્યયરૂપ છે એવો નિર્ણય થવો કદીય શક્ય ન બને. અમુક જ્ઞાન વિપર્યય છે એવો નિર્ણય ત્યારે જ થઈ શકે જ્યારે ઉત્તરકાળે પ્રમાણરૂપ જ્ઞાનથી તેનો બાધ થાય. પરંતુ તે તો થવાનું જ નહિ કારણ કે પ્રમાણજ્ઞાન અને . વિપર્યયજ્ઞાન બંને વિરોધી હોવાથી જ્યાં સુધી વિપર્યયજ્ઞાન હોય ત્યાં સુધી પ્રમાણજ્ઞાનનો ઉદય થઈ જ ન શકે. છીપમાં ચાંદીનું ભ્રાન્ત જ્ઞાન તો ઉદ્ભવી શકે છે કારણ કે તેના વિરોધી “આ છીપ છે' એવા પ્રમાણજ્ઞાનનું ત્યાં અસ્તિત્વ નથી. પરંતુ એક વાર “આ ચાંદી છે એવા ભ્રાન્ત જ્ઞાનનો ઉદય થયો તો પછી એના વિરોધી “આ છાપ છે' એવા પ્રમાણજ્ઞાનનો ઉદય નહિ થવાનો, કારણ કે પ્રમાણજ્ઞાનનું વિરોધી બ્રાન્તજ્ઞાન પ્રમાણજ્ઞાનના પ્રતિબંધકરૂપે ત્યાં હાજર છે જ. આમ વિપર્યયજ્ઞાનનો ઉદય થયા પછી પ્રમાણજ્ઞાનનો ઉદય થવો સંભવતો જ નથી. એટલે પ્રમાણજ્ઞાન વિપર્યયજ્ઞાનનો બાધ કરે છે એમ માનવું વ્યર્થ છે, ખોટું છે. આના જવાબમાં યોગદર્શન જણાવે છે કે વિપર્યયજ્ઞાન પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે અને પ્રમાણજ્ઞાન પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે.
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy