SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ખંભાતનાં જિનાલયો મહાકાર્યનો મંગલ પ્રારંભ કર્યો. અથાગ પરિશ્રમ અને વહીવટી કોઠાસૂઝથી જીણોદ્ધારનું ભવ્ય કાર્ય અતિ ત્વરાએ પૂર્ણ થયું. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં મોટા મહોત્સવ અને ઘણા ધામધૂમપૂર્વક એ મહાન જિનપ્રાસાદમાં જુદા-જુદા ૧૯ ગર્ભગૃહોમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ અને જિનાલયના મૂળનાયક તરીકે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના આહલાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન થયા. ઉપરાંત આ જિનાલયના ગર્ભગૃહમાં શ્રી ગીરનાર-તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રી નેમિનાથ ભગવાનની અદ્ભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. ખંભાતનાં જિનાલયોના સંદર્ભમાં કેટલીક દૃષ્ટાંતરૂપ પરંપરા હજુ આજે પણ જળવાઈ રહી છે, તેને જાળવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થઈ રહ્યો છે અને કેટલીક પરંપરા તો લોહીમાં વણાઈ હોય તેવી સાહજિક બની છે. - જિનાલય માટેની આત્મીયતા પ્રત્યેક મહોલ્લામાં જોવા મળે છે. વહીવટ મહોલ્લાના લોકો થકી જ થાય છે. જિનાલય મહોલ્લાનું જ ગણાય છે. મહોલ્લામાં આઠ-દસ કુટુંબો રહ્યાં હોય, ક્યાંક તો એક-બે કુટુંબો રહ્યાં હોય તો પણ તેઓ જિનાલયની સુપેરે જાળવણી કરે છે. ખંભાતમાં સતત ધૂળ ઊડતી રહે પણ જિનાલયની સ્વચ્છતા અને સુઘડતા ઊડીને આંખે વળગે તેવી હોય છે. જિનાલયની જાળવણી કરનાર મહોલ્લાના રહેવાસીના ઘરમાં વર્ષોથી દીવાલો ચૂના વિનાની રહી હોય, ભીંતો પરથી પોપડાં ઊખડી ગયાં હોય પણ એમના જિનાલયમાં રંગકામ થતું હોય છે અને તેથી જિનાલય નિત્ય નવીન લાગે છે. જીર્ણોદ્ધારનું કામ હાથ ધરવામાં આવે ત્યારે ખંભાતથી દૂર વસતો ખંભાતનો વતની એવા કાર્યમાં ઉમંગભેર સ્વઉપાર્જિત ધનનો વિનિયોગ કરીને ધન્ય બને છે. પોતાના જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે ખંભાતથી દૂર વસેલા પરિવારજનો એકઠાં થાય, જિનાલયની જાળવણી માટે જરૂરી નિર્ણયો લે, તેને અમલમાં મૂકે અને ભક્તિ-આરાધના કરીને છૂટાં પડે. આ ધર્મભાવના તથા આત્મીયતા જ ખંભાતનાં જિનાલયોને કાળનો વિપરીત પ્રભાવ હોવા છતાં સાચવી રહી છે. જિનાલયમાં જીર્ણોદ્ધાર કરતી વખતે કાષ્ઠની કોતરણીના બચી ગયેલા નમૂનાને અને કાચના જિનાલયનો જીર્ણોદ્ધાર થાય અને કાચ કાઢી અન્ય પ્રકારે જિનાલય બને ત્યારે કાચના જિનાલયની સારી રહી શકી હોય તેવી પહેલાંની રચનાને સ્મૃતિચિહ્નરૂપે જિનાલયમાં જ કોઈક સ્થળે સારી રીતે જડી દઈ કે કાચથી મઢી લઈ જાળવી લેવામાં આવે છે. જેમ કે – કવિ ઋષભદાસના ઘરદેરાસરની અગરતગરના લાકડાની કોતરણી આજે પણ માણેકચોકના શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં વિદ્યમાન છે. આજે ખંભાતમાં કુલ ૬૮ જિનાલયો છે જેમાં ૯ શિખરબંધી, ૧૨ ધાબાબંધી, ૨ સામરણયુક્ત, ૩૩ ઘુમ્મટબંધી, ૧ છાપરાયુક્ત છે. વડવાનું જિનાલય ભોંયરામાં છે અને તેની ઉપરના ભાગે વ્યાખ્યાન હોલ છે. ઘરદેરાસરો ૧૦ છે. (અહીં દહેવાણનગરના જિનાલયને ઘરદેરાસર ગયું છે.) આજે ભોંયરાવાળાં જિનાલયો ૧૩ છે પણ એમાંનાં ૭ જિનાલયોમાં પ્રતિમાજીઓ છે. બાકીનાં ૬ ભોંયરાં ખાલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy