SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન ભગવતપરાયણતા (પ્રભુની શરણાગતિ)રૂપી, ભગવદ્ભાવ જાગ્યા પછી પાપનું અસ્તિત્વ રહેતું નથી. “તમે ગમે તેવા પાપ કર્યા હોય તો પણ પાપમાં એવી શક્તિ નથી કે એ તમારા આત્માને હંમેશાં બગાડી મૂકે, ગમે તે ક્ષણે આત્માને એના શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશાવી શકાય છે.... વળી જ્ઞાનનો એવો ધર્મ છે કે પાપી સંસ્કારોને હતા તેવા ને તેવા રહેવા દઈને જ નવા શુભ સંસ્કારો ઉમેરતું નથી. પણ દરેક નવો શુભ સંસ્કાર ઉપજાવવામાં જૂના અશુભ સંસ્કારનો નાશ કરે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૮૩-૮૪). તેમના મતે જ્ઞાનનું કાર્ય સંસ્કાર પાડવાનું નહીં પણ આત્માના આંતર-તાત્ત્વિક સ્વરૂપને જ બહાર પ્રકટાવી આપવાનું છે. કારણ આત્માનું તાત્ત્વિક સ્વરૂપ શુદ્ધ છે. તેથી જ પાપનો ક્ષય સંભવે છે. ટૂંકમાં પાપના ક્ષય માટે બાહ્ય આચારને બદલે સમજણ સાથે આંતર વૃત્તિ શુદ્ધ કરવી આનંદશંકરના મતે જરૂરી છે. ખરેખર તો અપૂર્ણ દર્શન જ આત્મ-સ્વરૂપના અજ્ઞાનનું કારણ છે. આત્માને વિશાળતા અને પરતા (Transcendence) દ્વારા સુગ્રથિત કરવો જોઈએ. આત્માને દેહરૂપ કે કેવળ અંતઃકરણ રૂપ માનનાર વાસ્તવમાં “આત્મબીજ'ને સમજતો નથી એ વૃથા પ્રલાપ કરે છે. આજ “આત્મબીજી ભગવદ્ગીતાનું પણ બીજ છે એમ આનંદશંકર માને છે. આત્મ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે અજ્ઞાન દૂર થાય છે. પરમાત્માનું સ્વરૂપ : જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ માર્ગો વડે પરમાત્માનો યોગ સાધવાનું ગીતા કહે છે. પરમાત્માનું સ્વરૂપ અને તેનો જીવાત્મા સાથે સંબંધ તેમજ પરમાત્માની અનુભૂતિ અંગે આનંદશંકરે વિસ્તારપૂર્વક ચિંતન કર્યું છે. ગીતા અનુસાર પરમાત્માના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં આનંદશંકર કહે છે : ભૂમિ,જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારની પરમાત્માની અપરા પ્રકૃતિ છે અને જીવ એ એની પરાપ્રકૃતિ છે. આમ, પરા અને અપરા મળી પરમાત્માની સમસ્ત પ્રકૃતિ બનેલી છે. આ પ્રકૃતિના જે અસંખ્ય સ્વરૂપો પૈકી કેટલાક એવા છે કે જેમાં પરમાત્માની વિભૂતિ સ્પષ્ટ અને સવિશેષપણે પ્રગટ થાય છે. એ વિભૂતિઓનાં થોડાંક ઉદાહરણો આપી જઈને કૃષ્ણ અર્જુનને કહે છે : “જે જે વિભૂતિવાળું સત્ત્વ હોય, શ્રીવાળું હોય, અને ઊર્જસ્વી હોય - તે તે મારા તેજમાંથી જ ઉત્પન્ન થયું છે એમ સમજ. અથવા વિશેષ શું કહું ? આ સઘળું વિશ્વ હું મારા એક અંશમાત્રથી વ્યાપીને રહ્યો છું. આ દર્શન કરતાં – કરતાં અર્જુનને જ્યારે પ્રભુકૃપાથી વિશ્વરૂપ દર્શન થાય છે ત્યારે એને દેખાય છે કે સઘળું વિશ્વ ઈશ્વરેચ્છાથી વશ રહીને જ પ્રવર્તે છે.” (ધર્મવિચાર-૨, પૃ.૧૩૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy